Gadhada usury: ગઢડા તાલુકામાં એક ખેડૂતને વ્યાજખોરે આર્થિક લૂંટ અને ધાકધમકીનો ભોગ બનાવ્યો છે. વલ્લભભાઈ ગઢીયા નામના ખેડૂતે વ્યાજખોર ભગુભાઈ ગભરૂભાઈ બોરીચા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ખેડૂતે 10 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ વ્યાજખોરે અત્યારે 70 લાખ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યો છે. વધુમાં, ધાકધમકી અને દબાણ કરીને ખેડૂતની જમીન પોતાના નામે કરાવી લીધી. જમીન આપ્યા બાદ પણ વ્યાજખોરે વધુ પૈસાની માંગણી કરવાનું ચાલુ રાખ્યું અને ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.
ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
ગઢડા પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે. ભગુભાઈ બોરીચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 351(3), 352 તથા ગુજરાત નાણાંકીય ધીરધાર અધિનિયમ 2011ની કલમ 33 (3), 40, 42(ડી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સ્થાનિક ખેડૂતોમાં વ્યાજખોરોના અત્યાચાર અંગે ભારે રોષ જગાડ્યો છે અને વહીવટી તંત્ર પાસેથી કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે.





