અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાત મીડિયા ક્લબ યોજિત ‘ભારતકૂલ અધ્યાય-2’ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો હતો. તેમણે મીડિયાની કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું કે રાજ્યના વિકાસમાં મીડિયાની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ટીકા જરૂરી હોય તો પણ તેનો ભાવ હકારાત્મક અને લોકકલ્યાણનો હોવો જોઈએ તેવું તેમણે સ્પષ્ટ ભાવથી કહ્યું.
મુખ્યમંત્રીએ દેશના સાંસ્કૃતિક ગૌરવના મુદ્દાઓને સ્પર્શતા જણાવ્યું કે વર્ષ 2025 ભારત માટે ગૌરવનું વર્ષ છે. બિરસા મુંડા, સરદાર પટેલ અને ‘વંદે માતરમ્’ ના 150 વર્ષની ઉજવણી દેશની વૈભવી પરંપરા અને એકતાનું પ્રતીક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિકાસ, પરંપરા અને સનાતન મૂલ્યો – ત્રણેય સાથે આગળ વધશે ત્યારે જ વિકસિત ભારત@2047નું સ્વપ્ન સાકાર થશે, જેમાં ગુજરાત અગ્રેસર રહેશે.તેમણે નવયુવાનોને સંસ્કૃતિ, સ્વદેશી વિચાર અને મૂળ મૂલ્યો સાથે જોડાવા અનુરોધ કર્યો હતો. ભારતકૂલ જેવા કાર્યક્રમો યુવાશક્તિને દેશની ઓળખ અને આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડે છે, તેવી પ્રશંસા પણ મુખ્યમંત્રીએ કરી હતી.
કાર્યક્રમમાં DyCM હર્ષ સંઘવીએ રાજ્યના વિકાસમાં ‘ભાવ, રાગ અને તાલ’નું મહત્વ સમજાવ્યું. તેમણે જણાવ્યું કે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતે સંસ્કૃતિ અને વિકાસના ક્ષેત્રે અભૂતપૂર્વ કામ કર્યું છે. વડનગરમાં દેશનું સૌથી મોટું મ્યુઝિક સ્ટુડિયો બનવા જઈ રહ્યું છે અને વડોદરામાં પણ સમાન સુવિધાઓ ઉભી થઈ રહી છે, તેમ તેમણે ઉમેર્યું.
આ પ્રસંગે ઉપસ્થિત બીએપીએસ સંસ્થાના સંત બ્રહ્મવિહારી સ્વામીએ વર્તમાન સમયમાં મીડિયાના મહત્ત્વ વિશે વાત કરતાં કહ્યું કે સત્યને ઉજાગર કરવું એ માધ્યમોનો ધર્મ છે. આ માટે સતત સવાલો પૂછવા જોઈએ. પરંતુ, સાથે-સાથે ‘સ્વ’ ને પણ સવાલો પૂછતા રહેવા તેમણે માર્મિક ટકોર કરી હતી. ગુજરાતથી શરૂ કરેલી વિકાસયાત્રાથી આગળ વધીને ભારતને ફરી વિશ્વગુરુ બનાવવા માટે વડાપ્રધાન મોદીના પ્રયાસોની તેમણે સરાહના કરી હતી. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામનું ઉદાહરણ ટાંકીને રાજ્ય અને દેશના વિકાસમાં સહભાગી થવા સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ નિર્ણય કપૂરે સંસ્થાનાં કાર્યો તથા 'ભારતકૂલ' કાર્યક્રમ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ગયા વર્ષે જ્યાંથી પ્રથમ અધ્યાયને અલ્પવિરામ મૂક્યું હતું, ત્યાંથી બીજો અધ્યાય આગળ વધી રહ્યો છે. તેમણે આ આયોજનને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ ગણાવ્યું હતું.






