Strait of Hormuz: પશ્ચિમ એશિયામાં છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને તણાવ વચ્ચે વૈશ્વિક અર્થતંત્ર માટે આશાનું કિરણ જાગ્યું છે. ઈરાને શુક્રવારે (17 એપ્રિલ 2026) વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) જળમાર્ગ ફરીથી ખોલવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણય ભારત માટે ડબલ રાહત લઈને આવ્યો છે, કારણ કે ભારત પોતાની કુલ તેલની જરૂરિયાતના આશરે 50 ટકા હિસ્સો આ માર્ગ દ્વારા જ આયાત કરે છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીના જણાવ્યા મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચેના કામચલાઉ યુદ્ધવિરામ સુધી આ માર્ગ પરિવહન માટે ખુલ્લો રહેશે.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાને કારણે છેલ્લા 50 દિવસથી ઉર્જા પુરવઠો ખોરવાયો હતો અને વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ આસમાને પહોંચ્યા હતા. હવે આ માર્ગ ખુલતા જ પશ્ચિમ ભાગમાં ફસાયેલા ભારતના 15 જેટલા વ્યાપારી જહાજો સુરક્ષિત રીતે વતન પરત ફરી શકશે. ભારત સરકારે આ મામલે સત્તાવાર નિવેદન નથી આપ્યું, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે સતત આ જળમાર્ગને ખુલ્લો રાખવા માટે રજૂઆતો કરી હતી, જેનું સકારાત્મક પરિણામ અત્યારે જોવા મળી રહ્યું છે.
મોંઘવારીમાંથી મળશે મુક્તિ: કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો
ઈરાન-યુદ્ધની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ પર પડી રહી હતી. યુદ્ધ શરૂ થતા પહેલા કાચું તેલ 70 ડોલર પ્રતિ બેરલ હતું, જે માર્ચના અંત સુધીમાં ઉછળીને 119 ડોલર સુધી પહોંચી ગયું હતું. જોકે, હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની જાહેરાત થતાની સાથે જ બ્રેન્ટ ક્રૂડની કિંમત 90 ડોલરથી નીચે સરકી ગઈ છે. ભારત જેવા વિશાળ આયાતદાર દેશ માટે આ સમાચાર બજેટ અને અર્થતંત્રને સ્થિર કરવામાં મદદરૂપ સાબિત થશે.
ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન અને ઈરાનની નવી શરતો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ હવે સંપૂર્ણપણે ખુલ્લો છે, જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી અંતિમ સમજૂતી ન થાય ત્યાં સુધી ઈરાનના બંદરો પર અમેરિકાના પ્રતિબંધો ચાલુ રહેશે. બીજી તરફ, ઈરાને સંકેત આપ્યો છે કે આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી 'ટ્રાન્ઝિટ ફી' વસૂલવામાં આવી શકે છે. જોકે, ભારતે આ મામલે હજુ સુધી કોઈ સંમતિ દર્શાવી નથી અને રાજદ્વારી સ્તરે વાતચીત ચાલુ છે.
ઓમાનની ખાડીમાં ભારતીય યુદ્ધજહાજો તૈનાત
ભારતીય નૌકાદળ કોઈપણ જોખમ લેવા માંગતું નથી. ભારતીય વ્યાપારી જહાજોને સુરક્ષિત પેસેજ આપવા માટે ભારતે ઓમાનની ખાડીમાં પોતાના અત્યાધુનિક યુદ્ધજહાજો તૈનાત રાખ્યા છે. ભારત કોઈ આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગઠબંધનનો ભાગ બનવાને બદલે સ્વતંત્ર રીતે પોતાના હિતોનું રક્ષણ કરી રહ્યું છે. ભારતીય નેવી સતત મોનિટરિંગ કરી રહી છે જેથી કોઈ પણ જહાજ પર હુમલો કે અપહરણ જેવી ઘટના ન બને.
એસ. જયશંકર અને હરદીપ પુરી મિશન પર
ભારત ભવિષ્યમાં પણ ઉર્જા સંકટ ન સર્જાય તે માટે અત્યારથી જ સક્રિય થઈ ગયું છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી હાલ યુએઈ (UAE) અને કતારના પ્રવાસે છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય તેલ અને ગેસના પુરવઠા માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ અને લાંબા ગાળાના કરારોને મજબૂત બનાવવાનો છે, જેથી હોર્મુઝ સ્ટ્રેટ જેવી ભૌગોલિક-રાજકીય અસ્થિરતા સમયે ભારતની સપ્લાય ચેઈન પ્રભાવિત ન થાય.





