Home Gujarat Ahmedabad Bavla Changodar Sd Paint Company Fire

બાવળા-ચાંગોદર રોડ પર કેમિકલ કંપનીમાં અચાનક લાગી આગ : ભીષણ આગને કારણે આખા વિસ્તારમાં મચી ગઇ દોડધામ

ફેકટરીમાં લાગેલી આગના દ્રશ્યો
Play Video
Published by: Chintan Chavda
Last Updated: May 19, 2026, 09:22 AM IST

અમદાવાદ જિલ્લાના બાવળા-ચાંગોદર માર્ગ પર આવેલી એસડી પેઇન્ટ કંપની માં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ કંપનીમાં પેઇન્ટ, ટીનર અને ટર્પેન્ટાઇન જેવા કેમિકલ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જ્વલનશીલ કેમિકલ્સના કારણે આગ ઝડપથી ફેલાતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગ લાગતાની સાથે જ કંપનીમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊઠતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં લાગી ગઈ હતી. આગની તીવ્રતા વધુ હોવાના કારણે આસપાસના વિસ્તારમાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: વાવમાં ફિલ્મી અંદાજમાં લૂંટ અને અપહરણ : યુવકને માર મારી પડાવ્યા લાખો રૂપિયા, જાણો આખી ઘટના

કેમિકલ્સ હોવાને કારણે આગે લીધું વિકરાળ સ્વરૂપ

પ્રાથમિક વિગતો અનુસાર કંપનીમાં પેઇન્ટ સાથે ટીનર, ટર્પેન્ટાઇન અને અન્ય કેમિકલ્સનો જથ્થો સંગ્રહિત હતો. આ તમામ પદાર્થો અત્યંત જ્વલનશીલ હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આગ લાગ્યા બાદ વિસ્તારમાં ભારે ધડાકા જેવા અવાજો પણ સંભળાયા હતા. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજી સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી.

ફાયર વિભાગ અને પોલીસની ટીમ તૈનાત

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ સાથે પોલીસ ટીમ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. આગને કારણે આસપાસના ઉદ્યોગો અને ગોડાઉનોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ફાયર અધિકારીઓ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા કેમિકલ રિએક્શનના કારણે આગ લાગી હોઈ શકે છે, જોકે સત્તાવાર કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: રાજકોટવાસીઓને મોટી રાહત : કરોડોના ખર્ચે બનેલો નવો સાંઢીયા પુલ ટૂંક સમયમાં ખુલશે

ઔદ્યોગિક વિસ્તારોમાં સલામતી વ્યવસ્થા પર ફરી સવાલ

આ ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારોમાં ફાયર સેફ્ટી અને કેમિકલ સ્ટોરેજની વ્યવસ્થાને લઈને ફરી પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને પેઇન્ટ અને કેમિકલ બનાવતી ફેક્ટરીઓમાં ફાયર સેફ્ટી ઓડિટ, ઇમરજન્સી સિસ્ટમ અને સ્ટોરેજ પ્રોટોકોલનું પાલન કેટલું અસરકારક રીતે થાય છે તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં કેમિકલ અને ફેક્ટરી આગની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેના કારણે સલામતી ધોરણો વધુ કડક બનાવવાની માંગ ઉઠી રહી છે.

હાલ ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવા કામગીરી ચાલુ છે અને વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now