સામાન્ય રીતે ચાલતી વખતે રસ્તા અને આપણા પગ વચ્ચેનું ઘર્ષણ (Friction) આપણને સ્થિર રાખે છે. પરંતુ જો ભૂલથી પણ કેળાની છાલ પર પગ પડી જાય તો વ્યક્તિ સેકન્ડોમાં જમીન પર પછડાય છે. આ કોઈ સામાન્ય અકસ્માત નથી, પણ તેની પાછળ એક ચોક્કસ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. જાપાનના વૈજ્ઞાનિકોએ આ વિષય પર સંશોધન કર્યું છે, જેના માટે તેમને Ig Nobel Prizeથી પણ નવાજવામાં આવ્યા છે.
Polysaccharide Gelની ભૂમિકા
કેળાની છાલની અંદરની સપાટી પર જેલ જેવા પદાર્થથી ભરેલી અત્યંત નાની કોથળીઓ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિનો પગ આ છાલ પર પડે છે, ત્યારે દબાણને કારણે આ કોથળીઓ ફાટી જાય છે. તેમાંથી નીકળતું જેલ પાણી, સુગર અને પ્રોટીનનું બનેલું હોય છે. આ મિશ્રણ લુબ્રિકન્ટ જેવું કામ કરે છે, જે જમીન અને જૂતા વચ્ચેની પકડને સંપૂર્ણપણે ખતમ કરી નાખે છે.
ઘર્ષણમાં મોટો ઘટાડો
વિજ્ઞાનની ભાષામાં કહીએ તો લપસવાનું મુખ્ય કારણ ઘર્ષણ ગુણાંક (Coefficient of Friction) માં થતો ઘટાડો છે. સંશોધન મુજબ કેળાની છાલનો ઘર્ષણ ગુણાંક માત્ર 0.07 હોય છે. સામાન્ય રીતે ચાલવા માટે જરૂરી પકડ કરતા આ આંકડો ઘણો ઓછો છે. જ્યારે જેલ સપાટી પર ફેલાય છે, ત્યારે જૂતા અને જમીન વચ્ચેનું ઘર્ષણ તરત જ ઘટી જાય છે અને પગ અચાનક આગળની તરફ સરકી જાય છે.
કેમ અન્ય ફળોની છાલ આટલી જોખમી નથી?
સફરજન કે નારંગી જેવા ફળોની છાલમાં પણ ભેજ હોય છે, પરંતુ તેમાં કેળા જેવું Polysaccharide જેલ હોતું નથી. સફરજનની છાલનો ઘર્ષણ ગુણાંક આશરે 0.1 હોય છે, જે કેળાની સરખામણીએ વધુ ઘર્ષણ પૂરું પાડે છે. આ તફાવતને કારણે જ કેળાની છાલ અન્ય ફળો કરતા વધુ લપસણી સાબિત થાય છે.
ગુરુત્વાકર્ષણ કેન્દ્રનું સંતુલન બગડવું
મનુષ્યનું શરીર ત્યાં સુધી જ સંતુલિત રહે છે જ્યાં સુધી તેનું Center of Gravity (ગુરુત્વાકર્ષણ કેન્દ્ર) પગના પાયાના વિસ્તારની અંદર હોય. જ્યારે કેળાની છાલ પર પગ પડવાથી પગ અચાનક વેગ સાથે આગળ નીકળી જાય છે, ત્યારે શરીરનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર આ નિર્ધારિત વિસ્તારની બહાર વય જાય છે. આવી સ્થિતિમાં મગજ શરીરને ફરીથી બેલેન્સ કરવા માટે પૂરતો સમય મેળવી શકતું નથી અને વ્યક્તિ નીચે પડી જાય છે.




















