Badrinath Temple Donation Controversy: અયોધ્યાના રામ મંદિરને લઈને દાન અને વ્યવસ્થાપન સંબંધિત વિવાદોની ચર્ચા વચ્ચે હવે ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ બદ્રીનાથ ધામમાં પણ દાનની રકમમાં ગેરરીતિ થયાના આક્ષેપો સામે આવતા નવી ચર્ચા શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર દાન ગણતરી દરમિયાન કથિત અનિયમિતતાના દાવાઓ વાયરલ થતાં શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈને આંતરિક તપાસ શરૂ કરી છે. કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા ધર્મસ્થળોમાં દાનની પારદર્શિતા અને વિશ્વસનીયતા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારે બદ્રીનાથ ધામમાં દાનની ગણતરી દરમિયાન ગેરરીતિ થઈ હોવાના આક્ષેપોએ ભક્તોમાં ચિંતા અને ચર્ચાનો માહોલ ઉભો કર્યો છે. જોકે મંદિર સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે તપાસ પૂર્ણ થાય તે પહેલાં કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી.
BKTCએ તપાસના આપ્યા આદેશ, કર્મચારીઓને શો-કોઝ નોટિસ
શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી માહિતી અને આક્ષેપોને અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યા છે. ભક્તોની આસ્થા જળવાઈ રહે તે માટે ફરિયાદ મળ્યાના 24 કલાકની અંદર જ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) દ્વારા દાનની ગણતરી પ્રક્રિયામાં સામેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને કારણદર્શક નોટિસ (શો-કોઝ નોટિસ) પાઠવીને સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે. સાથે જ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ માટે વિશેષ તપાસ સમિતિ રચવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
ભૈરવ સેનાના સભ્યે કરી હતી ફરિયાદ
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે હિન્દુ સંગઠન ‘ભૈરવ સેના’ના સ્થાપક અધ્યક્ષ સંદીપ ખત્રીએ 3 જુલાઈના રોજ BKTCના સીઈઓ સોહન સિંહ રંગડને લેખિત ફરિયાદ પાઠવી હતી. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે, 2 જુલાઈના રોજ સવારે દાનની ગણતરી દરમિયાન કથિત રીતે નાણાંની ગેરરીતિ થઈ હતી અને આ સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જણાવાયું છે. ફરિયાદમાં સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધવાની પણ માંગ કરવામાં આવી છે.
આરોપો વચ્ચે અધ્યક્ષે આપી સ્પષ્ટતા
સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દ્વારા આરોપી કર્મચારીને BKTC અધ્યક્ષનો અંગત સચિવ ગણાવવામાં આવ્યો હતો. જોકે સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ આ દાવાઓને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેમનો કોઈ વ્યક્તિગત સચિવ નથી અને જે વ્યક્તિ અંગે ચર્ચા થઈ રહી છે તે મંદિર સમિતિનો નિયમિત કર્મચારી છે. તેમણે અફવાઓથી દૂર રહેવા અને તપાસ પૂર્ણ થવાની રાહ જોવા અપીલ કરી છે.
આ પણ વાંચો: કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં ફાયરિંગથી દોડધામ : PAC જવાનની બંદૂકમાંથી છૂટી ગોળી, ત્રણ લોકો થયા ઈજાગ્રસ્ત
CCTV ફૂટેજની તપાસ ચાલી રહી છે
મંદિર સમિતિના સીઈઓ સોહન સિંહ રંગડે જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ સંબંધિત CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. જોકે પ્રાથમિક નિરીક્ષણ દરમિયાન ઉપલબ્ધ વીડિયો ફૂટેજ સંપૂર્ણપણે સ્પષ્ટ ન હોવાનું સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, તમામ ઉપલબ્ધ પુરાવા, વીડિયો રેકોર્ડિંગ અને સંકળાયેલા લોકોના નિવેદનોના આધારે જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
દાન ગણતરી માટે પહેલેથી જ છે કડક નિયમો
મંદિર સમિતિના સૂત્રોના જણાવ્યા અનુસાર બદ્રીનાથ ધામમાં દાનની ગણતરી એક પારદર્શક અને નિયમિત પ્રક્રિયા અંતર્ગત કરવામાં આવે છે. દાનપેટી ખોલવામાં આવે ત્યારે તેની જાહેર જાહેરાત કરવામાં આવે છે અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન બેંક અધિકારીઓ, મંદિર સમિતિના સભ્યો અને અધિકૃત કર્મચારીઓની હાજરી ફરજિયાત હોય છે. વિશેષ વાત એ છે કે, આ વિવાદ સામે આવ્યાના એક દિવસ પહેલાં જ BKTC દ્વારા મંદિરોમાં દાન અને આવકના સ્ત્રોતો પર વધુ કડક દેખરેખ રાખવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. તેમાં નાણાકીય ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
તપાસ રિપોર્ટ બાદ થશે આગળની કાર્યવાહી
મંદિર સમિતિએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ તમામ તથ્યો જાહેર કરવામાં આવશે. જો કોઈ કર્મચારી દોષિત સાબિત થશે તો તેની સામે શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ અધિનિયમ, 1939 હેઠળ કાનૂની તેમજ વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે. સમિતિએ ભક્તોને અપીલ કરી છે કે, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાયરલ દાવાઓને અંતિમ સત્ય તરીકે ન માને અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે.





