ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલની કાર પર હુમલાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ ગોંડલના ભગવત પરા, સરગમ પાર્ક અને ઘોઘાવદર રોડ વિસ્તારમાં પાણી અને રસ્તાની સમસ્યાઓ અંગે સ્થાનિકોની રજૂઆત સાંભળવા તેઓ ત્યાં પહોંચ્યા હતા.
જિગીષા પટેલ પર કોણે કર્યો હુમલો?
જિગીષા પટેલ સ્થળ પર પહોંચતા જ કેટલાક અજાણ્યા શખ્સોએ તેમની ગાડી પર પથ્થરમારો શરૂ કર્યો હતો. અચાનક થયેલા આ હુમલાથી વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું. જણાવવામાં આવે છે કે જે વિસ્તારના પ્રશ્નોને લઈને તેઓ ગયા હતા તે સિવાયના વિસ્તારોમાંથી પણ કેટલીક અજાણી મહિલાઓનું ટોળું ત્યાં આવી પહોંચ્યું હતું.
જિગીષા પટેલ થયા ઈજાગ્રસ્ત
હુમલામાં જિગીષા પટેલની ગાડીને નુકસાન થયું હતું તેમજ તેમને ઈજા પણ પહોંચી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક ગોંડલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હુમલો કોણે અને કયા કારણસર કર્યો તેની દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ બનાવને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે.




















