રાજકોટના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ ફરી એકવાર શહેર ભાજપના સંગઠનમાં સક્રિયતા દાખવતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી છે. લાંબા સમયથી રાજકોટ શહેરના રાજકારણથી દૂર રહેલા રૈયાણીની આ 'રી-એન્ટ્રી'ને આગામી મહાનગરપાલિકા (મનપા) ચૂંટણી પહેલાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે.
"સંગઠનથી શક્તિ - શક્તિથી સેવા" નો મંત્ર જીવંત
અરવિંદ રૈયાણીના સક્રિય થવાના સમાચાર મળતા જ તેમના સમર્થકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ અને અભિનંદન પાઠવીને ધોધ વરસાવ્યો છે. તેમના સમર્થકો "સંગઠનથી શક્તિ - શક્તિથી સેવા" ના મંત્રને જીવંત રાખનાર વ્યક્તિ તરીકે રૈયાણીની વાપસીને વધાવી રહ્યા છે. આ પોસ્ટ્સ દર્શાવે છે કે રૈયાણીનો કાર્યકર્તાઓ અને સમર્થકોમાં હજુ પણ મજબૂત પકડ છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે મનપાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે પક્ષે ખાસ આદેશ આપીને અરવિંદ રૈયાણીને ફરીથી સક્રિય થવા જણાવ્યું છે. પક્ષને વિશ્વાસ છે કે રૈયાણી જેવા અનુભવી નેતાની સક્રિયતાથી ચૂંટણીમાં મોટો ફાયદો થઈ શકે છે.
અરવિંદ રૈયાણીની આ વાપસી રાજકોટ ભાજપના આંતરિક રાજકારણમાં નવા સમીકરણો સર્જી શકે છે. તેમની ઉપસ્થિતિથી જૂના કાર્યકરોમાં નવો ઉત્સાહ આવશે, જે ચૂંટણી માટે અત્યંત જરૂરી છે. હવે જોવાનું એ રહેશે કે રૈયાણીની આ સક્રિયતા ભાજપને ચૂંટણીમાં કેટલી મદદરૂપ થાય છે.






