ગુજરાતમાં થોડા દિવસો અગાઉ યોજાયેલી પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. ત્યારે 'મિશન 2027'ને લઈ AAP એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. જેના પગલે હવે કેજરીવાલ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ બુધવારથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમની સાથે AAP નેતા અને પંજાબના CM ભગવંત માન પણ ગુજરાતમાં યોજાનાર 23-24 જુલાઈના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ બે દિવસ દરમિયાન CM ભગવંત માન અને AAPના રાષ્ટ્રીય સંયોજક કે જરીવાલ રાજ્યના વિવિધ સ્થળોએ રેલીઓ યોજશે તેમજ કાર્યકર્તાઓ સાથે સંવાદ સાંધશે.
મોડાસા અને ડેડીયાપાડામાં જન સંપર્ક રેલી યોજશે
આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગત મોડી રાત્રે વડોદરા એરપોર્ટ ખાતે ઉતર્યાં હતા અને વડોદરામાં રાત્રી રોકાણ કર્યું હતું. ત્યારબાદ મોડાસા અને ડેડીયાપાડામાં જન સંપર્ક રેલી યોજશે. મંગળવારે અરવિંદ કેજરીવાલે તેમના સોશિયલ મીડિયા X હેન્ડલ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી લખ્યું હતું કે, ''30 વર્ષ શાસન કર્યા પછી આજે ગુજરાતમાં ભાજપનો ઘમંડ અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે''.
સરકાર પર આકરા પ્રહારો કર્યા
"આપ" ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તેમના X હેન્ડલ પર પોસ્ટ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ''ભાજપ સરકારે ગુજરાતમાં પોતાના દૂધના વાજબી ભાવની માંગ કરી રહેલા ખેડૂતો અને પશુપાલકો પર લાઠીચાર્જ કર્યો, એક ખેડૂતનું મોત થયું. આમ આદમી પાર્ટીના નેતા ચતુર્વેદીની ઘોર ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. 30 વર્ષ શાસન કર્યા પછી આજે ગુજરાતમાં ભાજપનો ઘમંડ અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. હું અને ભગવંત માનજી બે દિવસની મુલાકાતે ગુજરાત જઈ રહ્યા છીએ. અમે મોડાસા અને ડેડિયા પાડામાં ગુજરાતના લોકોના પક્ષમાં રેલીમાં જોડાઈશું''.






