વિશ્વભરમાં કરોડો લોકો વાળ ખરવાની અને ટાલિયાપણાની સમસ્યાથી પરેશાન છે, પરંતુ જાપાનના ક્યોટો શહેરમાં આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક અનોખી ધાર્મિક આસ્થા પ્રચલિત છે. ક્યોટોના પ્રસિદ્ધ આરાશિયામા વાંસના જંગલ પાસે આવેલું મિકામી શ્રાઇન (Mikami Shrine) મંદિર અત્યારે સોશિયલ મીડિયા અને પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એવી માન્યતા છે કે અહીં દર્શન કરવાથી અને વિશિષ્ટ પૂજા કરાવવાથી વાળને લગતી તમામ બીમારીઓ અને સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
જાપાનના પ્રથમ હેર ડ્રેસરને સમર્પિત છે આ સ્થાન
આ મંદિર જાપાનના દેવતા ફુજીવારા ઉનેમેનોસુકે મસાયુકીને સમર્પિત છે. ઇતિહાસ મુજબ મસાયુકી જાપાનના પ્રથમ હેર ડ્રેસર માનવામાં આવે છે. તેઓ પોતાના સમયમાં વાળની માવજત અને અવનવી હેર સ્ટાઇલ માટે એટલા પ્રખ્યાત હતા કે લોકો તેમને ભગવાનની જેમ પૂજવા લાગ્યા હતા. તેમના સન્માનમાં જાપાનમાં દર મહિનાની 17 તારીખે ખાસ દિવસ ઉજવાય છે અને પ્રાચીન સમયમાં આ દિવસે સેલૂન બંધ રાખવાની પરંપરા પણ હતી. આજે પણ જાપાનના મોટા બ્યુટી એક્સપર્ટ્સ અને હેર સ્ટાઇલિસ્ટ આ મંદિરમાં આશીર્વાદ લેવા આવે છે.
વાળ અર્પણ કરવાની છે અનોખી પરંપરા
મિકામી શ્રાઇન મંદિરમાં પ્રાર્થના કરવાની પદ્ધતિ અન્ય ધાર્મિક સ્થળો કરતા બિલકુલ અલગ છે. અહીં આવતા શ્રદ્ધાળુઓએ સૌ પ્રથમ એક ખાસ પ્રાર્થના પરબિડિયું (Prayer Envelope) ખરીદવું પડે છે. ત્યારબાદ મંદિરના પુજારી તે વ્યક્તિના માથા પરથી વાળની એક નાની લટ કાપીને તે લિફાફામાં સુરક્ષિત રાખે છે. આ પ્રક્રિયા બાદ શ્રદ્ધાળુ ભગવાન મસાયુકી સમક્ષ પોતાના વાળના સ્વાસ્થ્ય માટે મન્નત માંગે છે. પુજારી તે વાળના પરબિડિયા સાથે ખાસ વિધિ કરે છે જેથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય.
શ્રદ્ધા અને પ્રવાસનનું અનોખું સંગમ
જોકે વિજ્ઞાન આવી કોઈ પણ માન્યતાને સ્વીકારતું નથી, પરંતુ અહીં આવતા લોકોનો વિશ્વાસ અટલ છે. મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે આવી આસ્થાથી લોકોનો માનસિક તણાવ ઓછો થાય છે, જે આડકતરી રીતે વાળના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે. આજે આ મંદિર માત્ર વાળની સમસ્યા ધરાવતા લોકો માટે જ નહીં, પણ હેર ડ્રેસિંગના વ્યવસાય સાથે જોડાયેલા લોકો અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પણ એક જોવાલાયક સ્થળ બની ગયું છે. ખાસ કરીને હેર સ્ટાઇલિસ્ટની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અહીં અચૂક મુલાકાત લે છે.





















