શરૂઆતમાં માથાનો દુખાવો થઈ શકે, પરંતુ સમય જતાં ઊંઘ, ઊર્જા અને પાચનમાં સુધારો જોવા મળી શકે
ભારતમાં અને ખસકરીને ગુજરાતીઓ માટે ચા માત્ર પીણું નથી, પરંતુ રોજિંદી જીવનનો ભાગ છે. પરંતુ જો કોઈ વ્યક્તિ સતત 90 દિવસ સુધી ચા પીવાનું બંધ કરી દે તો શરીરમાં શું ફેરફાર થાય? આ પ્રશ્નનો જવાબ માત્ર એક નિષ્ણાત જ નહીં, પરંતુ Mayo Clinic, Harvard Medical School અને અમેરિકાની National Institutes of Health (NIH)ના સંશોધનો પણ આપે છે.
ભારતીય ડાયાબિટોલોજિસ્ટના જણાવ્યા મુજબ, શરૂઆતમાં શરીરને કેફીનની આદત છોડતાં કેટલીક અસરો અનુભવાઈ શકે છે, પરંતુ થોડા સમય પછી શરીર નવી સ્થિતિ સાથે અનુકૂળ થઈ જાય છે.
પહેલા થોડા દિવસ સૌથી મુશ્કેલ
ચા અચાનક બંધ કરતાં માથાનો દુખાવો, થાક, ચીડિયાપણું, ઊંઘ આવવી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને વારંવાર ચા પીવાની ઇચ્છા થઈ શકે છે. NIH અનુસાર કેફીન વિથડ્રૉઅલ એક માન્ય ક્લિનિકલ સ્થિતિ છે. નિયમિત કેફીન લેતા લોકો અચાનક બંધ કરે ત્યારે આ લક્ષણો સામાન્ય રીતે 12થી 24 કલાકમાં શરૂ થાય છે અને થોડા દિવસોમાં ધીમે-ધીમે ઘટવા લાગે છે.
ધીમે-ધીમે છોડવી વધુ સારી રીત
Mayo Clinicનું કહેવું છે કે કેફીન એકાએક છોડવાને બદલે ધીમે-ધીમે ઘટાડવું વધુ યોગ્ય છે. અચાનક બંધ કરવાથી વિથડ્રૉઅલના લક્ષણો વધુ તીવ્ર બની શકે છે. જો તમે દિવસમાં ચાર કપ ચા પીતા હોવ તો પહેલાં તેને ત્રણ, પછી બે અને ત્યારબાદ એક કપ સુધી ઘટાડવાથી શરીરને અનુકૂળ થવામાં સરળતા રહે છે.
ઊંઘમાં આવી શકે સુધારો
Harvard Medical Schoolના અહેવાલ અનુસાર કેફીન મગજમાં ઊંઘ લાવનારા એડિનોસિન (Adenosine)ના પ્રભાવને ઘટાડે છે. તેના કારણે ઊંઘ મોડેથી આવે છે અને ઊંઘની ગુણવત્તા પણ ઘટી શકે છે. તેથી સાંજ પછી ચા અથવા અન્ય કેફીનયુક્ત પીણાં ન લેવાથી ઘણા લોકોને વધુ સારી અને ઊંડી ઊંઘ મળી શકે છે.
ઊર્જા વધુ સ્થિર બની શકે
શરૂઆતના કેટલાક દિવસ થાક લાગવો સામાન્ય છે. પરંતુ લાંબા ગાળે કેટલાક લોકોને દિવસ દરમિયાન ઊર્જામાં અચાનક ચઢાવ-ઉતાર ઓછા અનુભવાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે શરીર કેફીન પર નિર્ભર રહેવાને બદલે પોતાની કુદરતી ઊર્જા વ્યવસ્થાને ફરીથી અપનાવે છે. જોકે આ અસર દરેક વ્યક્તિમાં અલગ હોઈ શકે છે.
એસિડિટી અને પેટની સમસ્યામાં રાહત મળી શકે
Mayo Clinic અનુસાર કેફીન કેટલાક લોકોમાં એસિડ રિફ્લક્સ (હાર્ટબર્ન) અથવા પેટની તકલીફ વધારી શકે છે. જો કોઈ વ્યક્તિને ચા પીવાથી એસિડિટી કે બળતરા થતી હોય તો ચા ઓછી કરવાથી અથવા બંધ કરવાથી રાહત મળી શકે છે. જોકે આ દરેક વ્યક્તિ માટે સમાન રીતે લાગુ પડતું નથી.
શું દરેકે ચા છોડવી જોઈએ?
નહીં...
Mayo Clinic જણાવે છે કે મોટાભાગના સ્વસ્થ વયસ્કો માટે દિવસના કુલ 400 મિલિગ્રામ સુધીનું કેફીન સામાન્ય રીતે સલામત માનવામાં આવે છે. જોકે કેફીન પ્રત્યે સંવેદનશીલ લોકો, ગર્ભવતી મહિલાઓ અથવા કેટલીક તબીબી સ્થિતિ ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ મુજબ કેફીનનું પ્રમાણ નિયંત્રિત કરવું જોઈએ. અર્થાત્ ચા સંપૂર્ણપણે છોડવી જરૂરી નથી. પરંતુ જો તમે દિવસમાં અનેક વખત વધુ ખાંડવાળી ચા પીતા હોવ, ઊંઘની સમસ્યા, એસિડિટી અથવા ચિંતા અનુભવતા હોવ તો કેફીનનું પ્રમાણ ઘટાડવું ફાયદાકારક બની શકે છે.





