Home Health-lifestyle Aiims Doctor Warns Foods That Damage Liver Like Alcohol

માત્ર દારૂ જ નહીં, રોજ ખાવામાં આવતી આ વસ્તુઓથી પણ લીવર થઈ જશે ખરાબ! : AIIMSના ડૉક્ટરે જણાવ્યા ચોંકાવનારા કારણો

AIIMS Doctor Warns
Image Credit: AI
Published by: Nirali Gohil
Last Updated: Jun 26, 2026, 10:53 AM IST

AIIMS Doctor Warns Foods That Damage Liver Like Alcohol: મોટાભાગના લોકો એવું માને છે કે માત્ર દારૂ પીવાથી જ લીવર ખરાબ થાય છે. પરંતુ હવે તબીબો ચેતવણી આપી રહ્યા છે કે જો તમે દારૂ ન પણ પીતા હોવ, તો પણ તમારી કેટલીક ખાણીપીણીની આદતો લીવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ (NAFLD)ના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે અને તેનું મુખ્ય કારણ ખોટી જીવનશૈલી તથા અસંતુલિત આહાર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

દેશમાં ડિજિટલ જીવનશૈલી, જંક ફૂડનો વધતો ઉપયોગ, વધુ તેલ-મીઠાઈનું સેવન અને શારીરિક શ્રમમાં ઘટાડો જેવી બાબતોના કારણે હવે યુવાનોમાં પણ લીવરની સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને એવા લોકોમાં, જેઓ જીવનમાં ક્યારેય દારૂ પીતા નથી, તેમનામાં પણ ફેટી લીવર જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો આ સ્થિતિ આગળ જઈને લીવર સિરોસિસ અને લીવર કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં ફેરવાઈ શકે છે.

દર 10માંથી લગભગ 4 ભારતીયોને ફેટી લીવરનો ખતરો

મેડિકલ જર્નલ The Lancet Regional Health – Southeast Asiaમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર ભારતમાં દર 10માંથી લગભગ 4 વયસ્કો નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ (NAFLD)થી પીડાઈ રહ્યા છે. સંશોધનમાં 7,764 લોકોના લીવરની તપાસ કરવામાં આવી હતી, જેમાં લગભગ 39 ટકા લોકોમાં ફેટી લીવરની સમસ્યા જોવા મળી હતી. અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે જો આ વધતા કેસો પર સમયસર નિયંત્રણ નહીં લાવવામાં આવે તો ભવિષ્યમાં લીવર સિરોસિસ, લીવર ફેલ્યોર અને લીવર કેન્સરના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

આ પણ વાંચો: ખાનગી મેડિકલ કોલેજોની ફીમાં દખલ નહીં કરે સુપ્રીમ કોર્ટ : સુપ્રીમ કોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન

દારૂ ન પીતા હોવા છતાં લીવર કેમ ખરાબ થાય છે?

દિલ્હી AIIMSના ગેસ્ટ્રોએન્ટરોલોજી અને હ્યુમન ન્યુટ્રિશન વિભાગના પ્રોફેસર ડૉ. શાલીમારના જણાવ્યા અનુસાર, જ્યારે લીવરમાં 5 ટકા કરતાં વધુ ચરબી જમા થવા લાગે છે ત્યારે તેને ફેટી લીવર કહેવામાં આવે છે. આ સ્થિતિ લીવરની ગંભીર બીમારીઓની શરૂઆત માનવામાં આવે છે. તેમણે જણાવ્યું કે ફેટી લીવર બે પ્રકારનું હોય છે. પ્રથમ, દારૂના વધુ સેવનથી થતું આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ, જ્યારે બીજું નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ (NAFLD), જે દારૂ ન પીતા લોકોમાં પણ જોવા મળે છે. આજના સમયમાં બીજા પ્રકારના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને તેનું સૌથી મોટું કારણ ખોટી ખાણીપીણી છે.

આ 4 વસ્તુઓ લીવરને પહોંચાડે છે સૌથી વધુ નુકસાન

ડૉક્ટરોના જણાવ્યા અનુસાર કેટલીક સામાન્ય ખાદ્ય વસ્તુઓ અને આદતો લીવરને દારૂ જેટલું જ નુકસાન પહોંચાડી શકે છે.

  • વધુ તેલવાળો ખોરાક: રોજિંદા ભોજનમાં વધુ તેલ અને તળેલી વસ્તુઓનું સેવન લીવરમાં ચરબી વધારવાનું મુખ્ય કારણ બની શકે છે.

  • વધુ ખાંડ અને મીઠાઈ: વધુ માત્રામાં ખાંડ, મીઠાઈ, સોફ્ટ ડ્રિંક્સ અને શુગરવાળા પીણાં લીવરમાં ફેટ એકત્રિત થવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે.

  • ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ: પિઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, પ્રોસેસ્ડ ફૂડ અને પેકેજ્ડ ખોરાક આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને નુકસાન પહોંચાડે છે, જેની સીધી અસર લીવરના સ્વાસ્થ્ય પર પડે છે.

  • ડૉક્ટરની સલાહ વિના દવાઓ લેવી: લાંબા સમય સુધી પોતાની મરજીથી પેઇનકિલર, સપ્લિમેન્ટ અથવા અન્ય દવાઓ લેવાની આદત પણ લીવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

પાતળા લોકો પણ કેમ બની રહ્યા છે ફેટી લીવરનો શિકાર?

ઘણા લોકો માને છે કે, માત્ર જાડા અથવા સ્થૂળ લોકોને જ ફેટી લીવર થાય છે, પરંતુ નિષ્ણાતો આ માન્યતાને ખોટી ગણાવે છે. જો કોઈ વ્યક્તિનું વજન સામાન્ય હોય પરંતુ તે નિયમિત રીતે જંક ફૂડ, વધુ ખાંડ અને તેલવાળો ખોરાક લેતો હોય, તો તેને પણ ફેટી લીવર થઈ શકે છે. નિષ્ણાંતોના મતે, આજકાલ ઘણા પાતળા લોકો પણ લીવરની બીમારીઓ સાથે હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. આવા દર્દીઓમાં મોટાભાગે જીવનશૈલી અને ખોટી ખાણીપીણી મુખ્ય કારણ તરીકે સામે આવી રહી છે.

આ પણ વાંચો: કૈલાશ માનસરોવર યાત્રા : ચીનમાં ભારતના રાજદૂતે પરિક્રમા પૂર્ણ કરી શ્રદ્ધાળુઓને આપી મહત્વની સલાહ

લીવરને સ્વસ્થ રાખવા શું કરવું?

નિષ્ણાતો સલાહ આપે છે કે, લીવરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે સંતુલિત આહાર લેવો, ફળ-શાકભાજી અને ફાઇબરયુક્ત ખોરાકનું પ્રમાણ વધારવું, નિયમિત કસરત કરવી, શરીરનું વજન નિયંત્રણમાં રાખવું અને ડૉક્ટરની સલાહ વિના કોઈપણ દવા ન લેવી જોઈએ. જો સમયસર જીવનશૈલીમાં સુધારો કરવામાં આવે તો ફેટી લીવર જેવી સમસ્યાને શરૂઆતના તબક્કામાં જ નિયંત્રિત કરી શકાય છે અને ભવિષ્યમાં થનારી ગંભીર લીવરની બીમારીઓથી બચી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now