jamnagar PMJAY scam : જામનગર શહેરમાં ફરી એક વખત ખાનગી હોસ્પિટલોમાં PMJAY -પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગેરરીતિઓનો મોટો કૌભાંડ બહાર આવતા ચકચાર મચી ગઈ છે. JCC હાર્ટ ઇન્સ્ટીટ્યૂટ પછી હવે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી ઓશવાળ આયુષ હોસ્પિટલમાં વિશાળ કાર્ડિયાક કૌભાંડ સામે આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે હોસ્પિટલ દ્વારા 35 જેટલા દર્દીઓને સારવારની વાસ્તવિક જરૂરિયાત ન હોવા છતાં હૃદયમાં સ્ટન્ટ બેસાડવામાં આવ્યા હતા.
કૌભાંડીઓએ PMJAY યોજનામાંથી 42 લાખ મંજૂર કરી લીધા
આ ખોટી સારવારના આધારે હોસ્પિટલ દ્વારા PMJAY યોજનામાંથી રુ. 42 લાખની રકમ મંજૂર કરાવી લીધી હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર મામલો બહાર આવતા રાજ્યના આરોગ્ય વિભાગે તાત્કાલિક કડક પગલાં લીધા છે. ઓશવાળ આયુષ હોસ્પિટલ પર રુ. 1 કરોડ 26 લાખ 77 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને PMJAY માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
દર્દીઓના આરોગ્ય સાથે ચેડા!
આ ગેરરીતિમાં સંડોવાયેલા મુખ્ય ડૉક્ટર ડૉ. શ્રીપદ ભિવાસ્કરને સસ્પેન્ડ કરવામાં આવતા શહેરના તબીબી વર્તુળમાં ભારે ચર્ચા છે. આ ઘટના બાદ PMJAY યોજનામાં ચાલતા આ પ્રકારના કૌભાંડો અંગે લોકોમાં રોષ વ્યાપ્યો છે અને સરકાર દ્વારા વધુ હોસ્પિટલોમાં તપાસ વધારવાની શક્યતા છે. શહેરમાં આને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે આરોગ્ય સેવાઓની આડમાં આટલું મોટું ફ્રોડ કેવી રીતે ચાલતું રહ્યું અને દર્દીઓના આરોગ્ય સાથે આવું જોખમ કેમ લેવામાં આવ્યું?.





















