ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સુરત ખાતે આયોજિત ‘ક્રાફ્ટ રૂટ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે સમાજને સંદેશ આપતું સૂચક નિવેદન આપ્યું, જેને હાલના રાજકીય માહોલમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. દીકરી અનાર પટેલની હાજરીમાં તેમણે જણાવ્યું કે, 'હું પોતે પણ પટેલ છું અને અહીં અનેક પાટીદારો ઉપસ્થિત છે, પરંતુ મારા લોહીમાં ક્યાંય પણ પટેલવાદ નથી'
'...એક પટેલ હોવું ગર્વની વાત છે'
તેમણે ગુજરાતના વર્તમાન સામાજિક માળખામાં પ્રસરી રહેલા પટેલવાદ પર આકરા પ્રહાર કરતા પ્રશ્ન કર્યો કે, 'આપણે ક્યાં સુધી લેઉવા અને કડવા પટેલના નામે વહેંચાયેલા રહીશું?” તેમના મત મુજબ, એક પટેલ હોવું ગર્વની વાત છે, પરંતુ આ ગર્વ સંકુચિત જ્ઞાતિવાદ સાથે નહીં, નેતૃત્વ અને જનસેવા સાથે જોડાયેલો હોવો જોઈએ. માત્ર એક ચોક્કસ પેટા જ્ઞાતિને નહીં, પરંતુ સમગ્ર સમાજને સાથે લઈને ચાલે એ જ સાચું નેતૃત્વ છે' એમ તેમણે ઉમેર્યું હતું.
'...એક ભારતવાસી હોવાનો ગર્વ લેવો જોઈએ'
આનંદીબેને જ્ઞાતિના નામે થતા રાજકારણ પર પણ ટીકા કરી અને કહ્યું કે, નેતૃત્વના દાવેદારોએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે. આપણે જ્ઞાતિના વાડામાંથી બહાર આવીને એક ભારતવાસી હોવાનો ગર્વ લેવો જોઈએ', એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું.
'સંસ્થાના હોદ્દાનો ઉપયોગ માત્ર પોતાની જ્ઞાતિ પૂરતો મર્યાદિત ન રાખવો જોઈએ'
કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાની દીકરી અનાર પટેલને પણ સંદેશ આપ્યો કે, 'સંસ્થાના હોદ્દાનો ઉપયોગ માત્ર પોતાની જ્ઞાતિ પૂરતો મર્યાદિત ન રાખવો જોઈએ. જો કોઈ અન્ય સમાજની જરૂરિયાતમંદ વ્યક્તિ સહાય માટે આવે, તો તેની પણ મદદ કરવી જોઈએ. તેમના આ નિવેદનને સમાજમાં એકતા અને સર્વસમાવેશી નેતૃત્વ તરફનું મહત્વપૂર્ણ માર્ગદર્શન માનવામાં આવી રહ્યું છે.




















