આણંદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન બનેલી ત્રણ અલગ-અલગ દુઃખદ ઘટનાઓમાં કુલ ચાર લોકોના મોત થતાં સમગ્ર જિલ્લામાં શોકની લાગણી વ્યાપી છે. વલાસણ ગામ નજીક કેનાલમાંથી માતા અને તેના પાંચ વર્ષના પુત્રના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે આંકલાવ તાલુકામાં ક્રેન પલટી જવાના અકસ્માતમાં એક સુપરવાઇઝરનું મોત થયું છે. બીજી તરફ પેટલાદ-બોરસદ હાઈવે પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક યુવાને જીવ ગુમાવ્યો છે. ત્રણેય બનાવોમાં સંબંધિત પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી છે.
વલાસણ કેનાલમાં માતા અને પાંચ વર્ષના પુત્રના મૃતદેહ મળ્યા
પ્રથમ ઘટના આણંદ શહેર નજીક આવેલા વલાસણ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં સામે આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ આશરે 30 વર્ષીય અજાણી મહિલા અને તેના અંદાજે પાંચ વર્ષના પુત્રના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા હતા.
સ્થાનિક લોકોએ ઘટનાની જાણ કર્યા બાદ આણંદ ફાયર બ્રિગેડની ટીમ અને તરવૈયાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લાંબી શોધખોળ બાદ બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાનગર પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
પોલીસ હાલ મૃતક મહિલા અને બાળકની ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. ઘટનાના સંજોગો અને મૃત્યુ પાછળના કારણોની તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો: વડોદરામાં કરજણ પોલીસનો મોટો પર્દાફાશ : ફર્નેશ ઓઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ; ₹40.54 લાખનો મુદ્દામાલ જપ્ત
આંકલાવમાં ક્રેન પલટી જતાં સુપરવાઇઝરનું મોત
બીજી ઘટના આંકલાવ તાલુકાના ખડોલ (હ) ગામ નજીક આવેલી એક ખાનગી ઔદ્યોગિક સાઇટ પર બની હતી. અહીં રિએક્ટર ગોઠવવાની કામગીરી દરમિયાન અચાનક ક્રેન પલટી ગઈ હતી. આ અકસ્માતમાં મુજકુવા ગામના 28 વર્ષીય સુપરવાઇઝર સાગરભાઈ રયજીભાઈ પઢીયાર ક્રેન નીચે દબાઈ જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનામાં અન્ય એક વ્યક્તિનો બચાવ થયો હોવાનું જાણવા મળે છે. બનાવ બાદ મૃતકના પરિવારજનોએ કંપનીની બેદરકારીનો આક્ષેપ કર્યો છે. પરિવારની માંગ છે કે ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ યોગ્ય વળતર અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે. આ માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે. આંકલાવ પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: વડોદરામાં વીજચોરો સામે GUVNLની મેગા ડ્રાઈવ : 1,062 કનેક્શનની તપાસમાં 39 કેસ ઝડપાયા, રૂ.34.67 લાખની વીજચોરીનો પર્દાફાશ
પેટલાદ-બોરસદ માર્ગ પર અકસ્માતમાં યુવાનનું મોત
ત્રીજી ઘટના પેટલાદ-બોરસદ માર્ગ પર બની હતી. પ્રાથમિક માહિતી મુજબ એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકને ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં વિરોલ ગામના 34 વર્ષીય શૈલેષ ચૌહાણને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર મળે તે પહેલાં જ તેમનું ઘટનાસ્થળે મોત થયું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ ચાલી રહી છે.
ત્રણેય બનાવોમાં પોલીસે તપાસ શરૂ કરી
આણંદ જિલ્લામાં એક જ દિવસમાં બનેલી આ ત્રણ અલગ-અલગ દુઃખદ ઘટનાઓએ સ્થાનિક લોકોને સ્તબ્ધ કરી દીધા છે. ત્રણેય કેસમાં સંબંધિત પોલીસ સ્ટેશનો દ્વારા ગુનો નોંધવાની અને હકીકતોની તપાસ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ બનાવોની તપાસ પૂર્ણ થયા બાદ જ દરેક ઘટનાના ચોક્કસ કારણો અંગે વધુ માહિતી સામે આવશે.






