Surat News: કહેવાય છે કે આપણી વચ્ચેથી વિદાય લેતી વ્યક્તિ જો કોઈના જીવનમાં ઉજાસ પાથરી જાય, તો તે અમર થઈ જાય છે. સુરતના મારૂ પરિવારે પોતાના જુવાનજોધ દીકરાને ગુમાવવાના અસહ્ય દુઃખની વચ્ચે પણ માનવતાની એક એવી મિસાલ કાયમ કરી છે, જેણે પાંચ પરિવારોના ઘરમાં ખુશીઓના દીવા પ્રગટાવ્યા છે. ડુમસ ખાતે વીજળી પડવાની કમનસીબ ઘટનામાં બ્રેઈનડેડ થયેલા 26 વર્ષીય તરુણ મારૂના પરિવારે અંગદાન કરવાનો એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી નિર્ણય લીધો છે.
ફરવા ગયેલા તરુણ પર કાળ બનીને ત્રાટકી વીજળી
બનાવની વિગત એવી છે કે, વીતેલા સોમવારે ૨૬ વર્ષીય તરુણ મારૂ સુરતના પ્રખ્યાત પર્યટન સ્થળ ડુમસ ખાતે ફરવા ગયો હતો. આ દરમિયાન અચાનક ચોમાસાના માહોલમાં તેના પર આકાશી વીજળી ત્રાટકી હતી. વીજળી પડવાને કારણે તરુણને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના તબીબો દ્વારા તેને બચાવવાના તમામ ભગીરથ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું. આખરે ૯ જુલાઈના રોજ ડોક્ટરોએ તરુણને 'બ્રેઈનડેડ' જાહેર કર્યો હતો.
માતા-પિતાએ હૃદય પર પથ્થર મૂકી લીધો મોટો નિર્ણય
૨૬ વર્ષના વહાલસોયા દીકરાના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો હતો. પરંતુ, આ કપરા સમયે સુરતની જાણીતી સંસ્થા 'ડોનેટ લાઈફ' ના પ્રતિનિધિઓએ પરિવારનો સંપર્ક કર્યો અને તેમને અંગદાનના મહત્વ વિશે સમજાવ્યું. પોતાની આંખો સામે જુવાન દીકરાનો મૃતદેહ જોઈને ભાંગી પડેલા માતા-પિતાએ અસાધારણ હિંમત બતાવી. તેમણે પોતાના હૃદય પર પથ્થર મૂકીને નિર્ણય કર્યો કે તેમનો દીકરો આ દુનિયામાં નથી રહ્યો, પણ તેના અંગો દ્વારા તે અન્ય લોકોના શરીરમાં જીવતો રહેશે.
"અમારો દીકરો તો ચાલ્યો ગયો, પણ તેના અંગોથી જો કોઈના ઘરનો ચિરાગ બચી જતો હોય તો આનાથી મોટું કોઈ પુણ્ય નથી."- મારૂ પરિવાર
સુરત પોલીસ અને ડોનેટ લાઈફની મદદથી 'ગ્રીન કોરિડોર' કરાયો
પરિવારની સંમતિ મળતા જ અંગદાનની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી શરૂ કરવામાં આવી હતી. તરુણના અંગો સમયસર હોસ્પિટલ પહોંચી શકે તે માટે સુરત પોલીસ વિભાગે તાત્કાલિક એક્શન લીધા હતા. ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવીને 'ગ્રીન કોરિડોર' તૈયાર કરવામાં આવ્યો હતો, જેથી દર્દીઓ સુધી લિવર અને કિડની વહેલી તકે પહોંચાડી શકાય. તરુણની બંને કિડની અને લિવરને અમદાવાદની ખ્યાતનામ IKDRC હોસ્પિટલ (કિડની હોસ્પિટલ) ખાતે જરૂરિયાતમંદ દર્દીઓ માટે મોકલવામાં આવ્યા. તરુણની આંખોનું પણ દાન કરવામાં આવ્યું છે, જેનાથી અંધકારમય જીવન જીવતા બે વ્યક્તિઓને નવી દ્રષ્ટિ મળશે અને તેઓ આ દુનિયા જોઈ શકશે.
ડાયરીમાં નોંધી લેજો આ તારીખો! : જુલાઈ-ઓગસ્ટમાં મેઘો કરશે તાંડવ, અંબાલાલે તારીખ સાથે કરી ભયાનક આગાહી
ડોનેટ લાઈફ સંસ્થાની પ્રશંસનીય કામગીરી
અંગદાનના ક્ષેત્રમાં સુરતની 'ડોનેટ લાઈફ' સંસ્થા વર્ષોથી ભગીરથ કાર્ય કરી રહી છે. આ સંસ્થાના અથાક પ્રયાસો અને લોકોની જાગૃતિના કારણે અત્યાર સુધીમાં ૧૩૮૮ જેટલા અંગો અને ટીસ્યુઓનું દાન કરાવીને હજારો લોકોને નવું જીવન બક્ષવામાં આવ્યું છે. દુઃખની આ ઘડીમાં મારૂ પરિવારે જે સમર્પણ અને માનવતા દાખવી છે, તેને આખું સુરત અને ગુજરાત સલામ કરી રહ્યું છે. તરુણ મારૂ ભલે આજે આપણી વચ્ચે નથી, પણ તેના અંગો થકી પાંચ વ્યક્તિઓને મળેલું નવજીવન હંમેશાં તેની યાદ અપાવતું રહેશે.





