Home National Amit Shah Bastar Naxal Mukt Bharat Development Model

ક્યારેય નક્સલીઓનો ગઢ રહેલું બસ્તર હવે વિકાસનું પ્રતિક : અમિત શાહનો મોટો દાવો

Amit Shah, Bastar, Naxal Free India
Published by: Vishal Dave
Last Updated: May 19, 2026, 05:15 PM IST

એક સમય એવો હતો જ્યારે છત્તીસગઢનું બસ્તર નામ સાંભળતાં જ નક્સલી હુમલા, ગોળીબાર અને સુરક્ષા દળોના શહીદ જવાનોની યાદ તાજી થઈ જતી હતી. પરંતુ હવે એ જ બસ્તરની ધરતી પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશને સંદેશ આપ્યો છે કે ભારત હવે ‘નક્સલ મુક્ત’ બન્યું છે. દાયકાઓ સુધી લાલ આતંકની છાયામાં જીવતા રહેલા આ વિસ્તારમાં હવે સરકાર વિકાસ, રોકાણ અને શાંતિનું નવું અધ્યાય લખવા માગે છે.

બસ્તરથી જ ‘નક્સલ મુક્ત ભારત’ની જાહેરાત કેમ?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના બસ્તરમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન કહ્યું કે દેશને 1947માં સ્વતંત્રતા મળી ગઈ હતી, પરંતુ બસ્તરને “સાચી આઝાદી” હવે મળી છે. તેમના મતે, 31 માર્ચ 2026 પછી બસ્તર પહેલીવાર ભય અને હિંસાના ચક્રમાંથી સંપૂર્ણપણે બહાર આવ્યું છે.

અમિત શાહે જણાવ્યું કે બસ્તરે છેલ્લા છ દાયકાથી વધુ સમય સુધી આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન સહન કર્યું છે. નક્સલવાદના કારણે અહીં વિકાસ અટકી ગયો હતો અને સામાન્ય લોકો ભયના માહોલમાં જીવન જીવતા હતા. રાજકીય અને પ્રતિકાત્મક રીતે પણ બસ્તરનું મહત્વ વિશેષ છે. કારણ કે દેશના સૌથી ઘાતક નક્સલી હુમલાઓમાંથી ઘણા હુમલા આ જ વિસ્તારમાં થયા હતા. આવી ધરતી પરથી ‘નક્સલ મુક્ત ભારત’ની જાહેરાત કરીને કેન્દ્ર સરકારે સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે હવે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ રહી છે.

ક્યારેય નક્સલીઓનો સૌથી ખતરનાક ગઢ હતું બસ્તર

બસ્તર લાંબા સમય સુધી દેશના સૌથી સંવેદનશીલ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ગણાતું હતું. 6 એપ્રિલ 2010ના રોજ અહીં થયેલા ભયાનક નક્સલી હુમલામાં CRPFના 76 જવાનો શહીદ થયા હતા. આ હુમલો દેશના ઇતિહાસમાં સૌથી મોટા નક્સલી હુમલાઓમાંનો એક માનવામાં આવે છે. છેલ્લા બે દાયકામાં બસ્તર અને આસપાસના વિસ્તારોમાં નક્સલી હિંસાના કારણે આશરે 1300 સુરક્ષાકર્મીઓ અને 1800થી વધુ સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યો છે. સ્થાનિક લોકો માટે સાંજ પછી ઘરની બહાર નીકળવું પણ જોખમરૂપ માનવામાં આવતું હતું. અનેક ગામોમાં સરકારની પહોંચ ખૂબ મર્યાદિત હતી. રસ્તા, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો અને બેન્કિંગ જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ હતો. નક્સલવાદના કારણે વિકાસ પ્રોજેક્ટ્સ અટકતા રહ્યા અને બસ્તર દેશના બાકીના વિસ્તારોની સરખામણીએ પાછળ રહી ગયું.

મોદી સરકારનું ‘નક્સલ મુક્ત ભારત’ મિશન

અમિત શાહે જણાવ્યું કે 2019 પછી કેન્દ્ર સરકારે ‘નક્સલ મુક્ત ભારત’નું લક્ષ્ય નક્કી કર્યું હતું. ત્યારબાદ સુરક્ષા કામગીરી વધુ આક્રમક રીતે શરૂ કરવામાં આવી.

2023માં છત્તીસગઢમાં ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ આ અભિયાનને વધુ ઝડપ મળી હોવાનું કેન્દ્ર સરકારનું કહેવું છે.

સરકારી આંકડાઓ મુજબ 2024 દરમિયાન આશરે 224 નક્સલીઓ માર્યા ગયા હતા, જ્યારે 2025માં આ આંકડો વધીને લગભગ 400 સુધી પહોંચ્યો હતો. ઉપરાંત છેલ્લા 10 વર્ષમાં 10 હજારથી વધુ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હોવાનું સરકારનો દાવો છે.

સરકારે સુરક્ષા દળોની હાજરી વધારવાની સાથે સ્થાનિક યુવાનોને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે વિવિધ યોજનાઓ પણ શરૂ કરી છે.

સુરક્ષા કેમ્પ હવે બનશે ‘જન સેવા કેન્દ્ર’

બસ્તર માટે સરકાર હવે માત્ર સુરક્ષા મોડલ નહીં પરંતુ વિકાસ મોડલ રજૂ કરવા માગે છે. અમિત શાહે જાહેરાત કરી કે સુરક્ષા દળોના કેમ્પોને હવે ‘જન સેવા કેન્દ્ર’ તરીકે વિકસાવવામાં આવશે. આ કેન્દ્રોમાં સ્થાનિક લોકોને બેન્કિંગ, આધાર કાર્ડ, સરકારી યોજનાઓ, ડિજિટલ સેવાઓ અને અન્ય સરકારી સહાય સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારનો પ્રયાસ એ છે કે જે વિસ્તારોમાં પહેલાં માત્ર સુરક્ષા દળોની હાજરી હતી ત્યાં હવે સામાન્ય લોકો માટે વિકાસ અને સુવિધાઓનો માહોલ ઉભો થાય. આ પહેલથી સરકાર સ્થાનિક આદિવાસી સમુદાયોનો વિશ્વાસ વધુ મજબૂત કરવા માંગે છે.

રસ્તા, ઇન્ટરનેટ અને રોકાણ પર સરકારનું ધ્યાન

કેન્દ્ર સરકાર માને છે કે નક્સલવાદમાં ઘટાડા બાદ હવે બસ્તરમાં રોકાણ, પ્રવાસન અને રોજગારીની નવી તકો ઊભી થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બસ્તર વિસ્તારમાં માર્ગ વ્યવસ્થા, મોબાઇલ કનેક્ટિવિટી, બેન્કિંગ સેવાઓ, શાળાઓ અને આરોગ્ય સુવિધાઓનો ઝડપી વિકાસ થયો છે. હવે સરકાર બસ્તરને માત્ર સંઘર્ષ અને હિંસાથી ઓળખાતું ક્ષેત્ર નહીં પરંતુ વિકાસ અને અવસરના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માગે છે. વિશ્લેષકો માને છે કે જો વિસ્તારમાં શાંતિ સ્થિર રહેશે તો ખનિજ સંપત્તિ, વન સંપત્તિ અને પ્રવાસનના કારણે બસ્તર આર્થિક રીતે મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે.

બસ્તરમાંથી દેશને પ્રતિકાત્મક સંદેશ

બસ્તરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓની હાજરીમાં યોજાયેલી કેન્દ્રીય ક્ષેત્રિય પરિષદની બેઠકને પણ પ્રતિકાત્મક રીતે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એક સમય એવો હતો જ્યારે બસ્તરનું નામ માત્ર ગોળીબાર અને હુમલાઓ માટે લેવામાં આવતું હતું. હવે એ જ વિસ્તારમાં મોટા સરકારી કાર્યક્રમો અને વિકાસ યોજનાઓની શરૂઆત થઈ રહી છે. કેન્દ્ર સરકારનો દાવો છે કે બસ્તર હવે “રેડ ટેરર” નહીં પરંતુ “ન્યૂ ઇન્ડિયા”ની નવી ઓળખ બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now