કેન્દ્રિય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમના હસ્તે અમદાવાદને મળશે અંદાજે 1600 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ. જેમાં ખાસ કરીને અમિત શાહના હસ્તે અમદાવાદના નારણપુરામાં આવેલાં 132 ફૂટ રિંગ રોડ પરના પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઓવરબ્રિજને કારણે અહીંથી નિયમિત પસાર થતાં અંદાજે દોઢ લાખ કરતા વધુ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળશે. અહીંથી પસાર થતા વાહનચાલકોને એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચવામાં 7થી 8 મિનિટનો સમય બચી જશે અને ટ્રાફિકની માથાકૂટથી મૂક્તિ મળશે. સાથે જ અમિત શાહ અહીંના એએમસીના પ્લોટમાં પોતાના લોકસભા મતવિસ્તારના મતદારોને પણ સંબોધન કરશે. અમિત શાહને સાંભળવા માટે કાર્યક્રમ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે.
આ ઉપરાંત અમિત શાહ આજે ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજની સમાંતર બનનારા ઓવરબ્રિજ અને સીએન વિદ્યાલયથી લો ગાર્ડન સુધીના ફ્લાયઓવરના કામનું ખાતમુહૂર્ત કરાશે. અમદાવાદમાં અમિત શાહના હસ્તે કુલ 1692 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. આ ઉપરાંત મહેસાણાના ગોજારીયા ખાતે કે.કે પટેલ નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પહેલાં આજે સવારે અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ભાજપ દ્વારા ઓપરેશ સિંદૂરની સફળતાને વધાવવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. ભાજપના ધારાસભ્યો અને પ્રદેશ સંગઠનના અગ્રણીઓ પણ આ યાત્રામાં અમિત શાહ સાથે જોડાયા હતા. નળ સરોવરથી શરૂ થયેલી યાત્રાને મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાજલિ અર્પણ કરાવીને અમિત શાહે યાત્રા પૂર્ણ કરી હતી.





















