Ahmedabad News: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ દેશ અને રાજ્યમાં વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અમદાવાદમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે દેશમાં પેપર લીક હવે એક ગંભીર સમસ્યા નહીં, પરંતુ 'મહામારી'નું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. તેમના જણાવ્યા મુજબ વર્ષ 2014થી અત્યાર સુધીમાં દેશમાં અંદાજે 150 જેટલી પેપર લીકની ઘટનાઓ બની છે, જેના કારણે લાખો યુવાનોના સપનાઓ અને ભવિષ્ય પર ગંભીર અસર પડી છે. અમિત ચાવડાએ જણાવ્યું કે આજે દેશભરમાં કોંગ્રેસ દ્વારા આયોજિત ‘છાત્રોની ગુંજ’ કાર્યક્રમને વિદ્યાર્થીઓ અને યુવાનોનો સારો પ્રતિસાદ મળ્યો છે. તેમના કહેવા મુજબ આ અભિયાનનો મુખ્ય હેતુ પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા, જવાબદારી અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાનો છે.
પરીક્ષા વ્યવસ્થા પર ઉઠાવ્યા ગંભીર સવાલ
અમિત ચાવડાએ જણાવ્યું કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માત્ર ઉમેદવાર પૂરતી મર્યાદિત હોતી નથી. એક પરીક્ષાર્થીની સફળતા માટે આખો પરિવાર વર્ષો સુધી આર્થિક, માનસિક અને સામાજિક રીતે સંઘર્ષ કરતો હોય છે. વિદ્યાર્થીઓ દિવસ-રાત મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરે છે, પરંતુ જો પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં જ લીક થઈ જાય તો તેમની તમામ મહેનત વ્યર્થ થઈ જાય છે. તેમણે આક્ષેપ કર્યો કે વારંવાર પેપર લીક થવા છતાં સરકાર અસરકારક અને કડક વ્યવસ્થા ઉભી કરવામાં નિષ્ફળ રહી છે. પરિણામે યુવાનોમાં નિરાશા વધી રહી છે અને ભરતી પ્રક્રિયા પ્રત્યેનો વિશ્વાસ પણ નબળો પડી રહ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ : બંને આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા
'લાખો વિદ્યાર્થીઓના સપના તૂટી રહ્યા છે'
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે દેશમાં સતત બનતી પેપર લીકની ઘટનાઓને કારણે લાખો પરીક્ષાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. ઘણી ભરતી પરીક્ષાઓ રદ કરવી પડે છે અથવા ફરી યોજવી પડે છે, જેના કારણે ઉમેદવારોનો સમય, પૈસા અને મહેનત ત્રણેયનો બગાડ થાય છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને વર્ષો સુધી તૈયારી કર્યા પછી પણ ન્યાય મળતો નથી. આ સ્થિતિમાં સરકારની જવાબદારી નક્કી થવી જોઈએ અને પેપર લીક માટે જવાબદાર લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
રાહુલ ગાંધીએ સતત અવાજ ઉઠાવ્યો
અમિત ચાવડાએ પોતાના નિવેદનમાં કહ્યું કે વિદ્યાર્થીઓની ચિંતા અને તેમના હક્કની લડતને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સતત અવાજ આપ્યો છે. કોંગ્રેસનો દાવો છે કે વિદ્યાર્થીઓના પ્રશ્નોને રાજકીય મુદ્દો નહીં પરંતુ રાષ્ટ્રીય મહત્વના વિષય તરીકે જોવાની જરૂર છે.
આ પણ વાંચો: અંકલેશ્વર વિદ્યાર્થિની કેસમાં મોટો ટ્વિસ્ટ : આરોપીની પુત્રીએ કહ્યું, 'આ હુમલો નહીં, રિએક્શન હતું'






