Amit Chavda : કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ રેલી નસવાડી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો, કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા. રેલીને સંબોધતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર અને પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નસવાડી તાલુકામાં વિકાસના નામે આદિવાસી સમાજની જમીનો છીનવવાનો સુયોજિત પ્રયાસ ચાલી રહ્યો છે, જે આદિવાસી સમાજ માટે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બાબત છે.
'...બળજબરીથી કબજો લેવાનો પ્રયાસ'
અમિત ચાવડાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, 'હાઇડ્રો પ્રોજેક્ટના નામે પોલીસની દાદાગીરી કરીને ખેડૂતો અને આદિવાસીઓની જમીન પર બળજબરીથી કબજો લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, 'આ પ્રોજેક્ટના બહાને નસવાડી તાલુકાના અંદાજે 18 જેટલા ગામોની જમીન હડપવાની કાર્યવાહી ચાલી રહી છે. આદિવાસી સમાજની જમીન, જંગલ અને રોજગાર છીનવી લઈને વિકાસના ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે, એવો તેમણે આક્ષેપ કર્યો હતો'.
'ભ્રષ્ટાચાર થવાથી લાભાર્થીઓને સાચો લાભ મળી રહ્યો નથી'
તેમણે જણાવ્યું કે 'સરકાર અને પ્રશાસન પોલીસ બળનો ઉપયોગ કરીને લોકોને ડરાવીને તેમની જમીન છીનવી રહી છે, જે લોકશાહી અને બંધારણના વિરોધમાં છે. આદિવાસી સમાજના હક અને અધિકારોને કચડવાનો આ ખુલ્લો પ્રયાસ હોવાનું તેમણે કહ્યું હતું. આ ઉપરાંત અમિત ચાવડાએ સરકારી યોજનાઓમાં થયેલા ભ્રષ્ટાચાર પર પણ કડક ટીકા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે મનરેગા અને ‘નલ સે જલ’ જેવી જનકલ્યાણકારી યોજનાઓમાં કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થયું છે. જે યોજનાઓ ગરીબ અને આદિવાસી સમાજના જીવનમાં સુધારો લાવવા માટે બનાવવામાં આવી છે, તે જ યોજનાઓમાં ભ્રષ્ટાચાર થવાથી લાભાર્થીઓને સાચો લાભ મળી રહ્યો નથી'.





















