Ahmedabad Budget 2026-27: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2026-27 માટેનું રૂ. 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ રજૂ કર્યું છે. આ બજેટમાં શહેરને વધુ આધુનિક અને વિકસિત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટમાં જનતા કેન્દ્રિત યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. શહેરને કોમનવેલ્થ ગેમ્સ પહેલા ચમકદાર બનાવવાનું લક્ષ્ય છે.
ક્રીડા અને અવકાશી માળખું
બજેટમાં ક્રીડા માળખું મજબૂત કરવા માટે 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત બાળકો માટે 50 નવા પાર્ક અને 100 આંગણવાડીઓનું નિર્માણ કરાશે. મહિલાઓ માટે જોધપુર વિસ્તારમાં વિશેષ જીમ અને 5 ઘોડિયા ઘર પણ બનાવવામાં આવશે.
પરિવહન અને રસ્તા વિકાસ
ટ્રાફિકને સરળ બનાવવા માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે. બોપલ રીંગરોડથી ઘુમા સુધી અને નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઈટ, રામદેવનગરથી ઇસ્કોન સુધી 4 કિમીનો એલિવેટેડ કોરિડોર બનાવાશે. આ કોરિડોરમાં વાહનો બ્રેક વિના સરળતાથી પસાર થઈ શકશે. વધુમાં, 5 રેલવે ઓવરબ્રિજ અને 3 ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કરાશે. સ્માર્ટ પાર્કિંગ માટે સોબો સેન્ટર બોપલ, ઝાયડસ હેબતપુર રોડ, સીજી રોડ, યુનિવર્સિટી રોડ અને આઉટર રીંગ રોડ પર બસ પોર્ટ જેવા વિસ્તારોમાં વ્યવસ્થા કરાશે.
કરવેરા અને આર્થિક જોગવાઈઓ
ચાલુ વર્ષે કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જોકે, બે વર્ષ પહેલાની જોગવાઈ મુજબ ઓટોમેટિક 2 ટકા વધારો થશે. આ બજેટમાં શહેરી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં વિવિધ યોજનાઓ માટે પૂરતું ફંડ ફાળવાયું છે.
મહિલા અને બાળ વિકાસ
મહિલાઓની સુરક્ષા અને સુવિધા માટે 25 પિંક ટોઇલેટનું નિર્માણ કરાશે, જેમાં પશ્ચિમ વિસ્તારમાં 11 અને પૂર્વ વિસ્તારમાં 14 હશે. પે એન્ડ યુઝ ટોઇલેટ માટે અમરાઈવાડી, નિકોલ, ગોમતીપુર, સરસપુર, સરદારનગર, કુબેરનગર, નરોડા, સૈજપુર, ઈન્ડિયા કોલોની, જોધપુર, વેજલપુર, સરખેજ, ચાંદખેડા જેવા વિસ્તારોમાં નવા સ્થળો નક્કી કરાયા છે.
વારસા સંરક્ષણ
અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાણીતું છે, તેથી વારસા માટે રૂ. 49 કરોડ ફાળવાયા છે. હેરિટેજ પોળ અને ગેટના રિસ્ટોરેશન માટે રૂ. 15 કરોડ, ખાડિયા વોર્ડની સાંકડી શેરી માટે રૂ. 10 કરોડ, દાદા હરિની વાવ અને માતા ભવાની વાવના વિસ્તાર માટે રૂ. 10 કરોડ, પ્રેમ દરવાજા અને દરીયાપુર વિસ્તાર માટે રૂ. 4.50 કરોડ તથા ખાન જહાન અને ચાંદ શહીદ ફોર્ટ વોલગેટ માટે રૂ. 2.50 કરોડનું બજેટ છે.
સ્વચ્છતા અને પર્યાવરણ
સ્વચ્છતા માટે 4 નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (કુલ 315 એમએલડી) બનાવાશે. પશ્ચિમ ઝોનમાં મોટેરા ખાતે 50 એમએલડી, રામોલ-હાથીજણમાં 250 એમએલડી, ઘુમા તળાવ ખાતે 10 એમએલડી અને ઓકાફ તળાવ ખાતે 5 એમએલડીના મિની પ્લાન્ટ શામેલ છે.
આરોગ્ય સુવિધાઓ
આરોગ્ય ક્ષેત્રે નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ચાંદલોડીયા, ઘુમા, સૈજપુર બોઘા અને નરોડામાં બનાવાશે. અપગ્રેડેશન માટે સાબરમતી, રખિયાલ, માધુપુરા અને નવું બોડકદેવ અર્બન હેલ્થ સેન્ટર પસંદ કરાયા છે.
શિક્ષણ અને બજાર વિકાસ
શિક્ષણ માટે નવી સ્કૂલો ચાંદલોડિયા ટીપી 45 અને 28, થલતેજ ટીપી 37, જોધપુર, વેજલપુર, સરખેજ, રાણીપ, સાબરમતી, ચાંદખેડા, નારણપુરા, વાસણા, રાણીપ ટીપી 66, લાંભા-નારોલ, લાંભા-વટવા, લાંભા, રામોલ-હાથીજણ, નિકોલ, વસ્ત્રાલ, વટવા બાપા સીતારામ ચોક, ભાઇપુરા ધીરજ હાઉસિંગ, નરોડા હંસપુરા અને નવા નરોડામાં બનાવાશે. વેજિટેબલ માર્કેટ ગોતા, નવરંગપુરા, ન્યૂ મણીનગર, નરોડા-મુઠીયા અને નાનચિલોડામાં વિકસાવાશે.




















