આગાહીકાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અને આગામી દિવસોના હવામાનને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશન ગુજરાત તરફ વધતાં ફરી એકવાર વરસાદી કહેર શરૂ થવાની શક્યતા છે.
વરસાદી ઝાપટાની આગાહી
આગાહીકારની આગાહી મુજબ 30 અને 31 ઑક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર, વડોદરા તેમજ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લાઓના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.
ભારેથી અતિભારે વરસાદની શક્ય
આ સાથે જ બંગાળના ઉપસાગરમાં “મોંથા” નામનું વાવાઝોડું રચાતું હોવાથી તેની અસર મહારાષ્ટ્રના ભાગો સુધી જોવા મળી શકે છે. અરબી સમુદ્રના ડિપ્રેશન અને બંગાળના વાવાઝોડાની સંયુક્ત અસરને કારણે દક્ષિણ ગુજરાતમાં 2 નવેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. સુરત, ભરૂચ અને દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં હળવું પૂર આવી શકે એવો વરસાદ પડી શકે છે. પશ્ચિમ, દક્ષિણ અને મધ્ય સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેતાં ખેતીમાં ફરી તબાહી સર્જાઈ શકે છે.
પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે!
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 2 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે, જ્યારે 4 થી 8 નવેમ્બર દરમિયાન ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે. બંગાળ ઉપસાગર વધુ સક્રિય થવાને કારણે ડિસેમ્બર શરૂઆત સુધી ભારે વાવાઝોડાં આવવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં પણ માવઠું પડી શકે છે. અંતે, 22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં ભારે થી અતિભારે હિમવર્ષા થવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનો પ્રારંભ થશે અને ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હિમપાતથી જીવન ઠપ થઈ શકે છે.






