Gujarat Weather Update: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો હતો. જોકે, હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં આજથી મેઘરાજા વિરામ લે તેવી શક્યતા છે અને આકાશ સ્વચ્છ થતા ઉઘાડ નીકળશે. જેટ સ્ટ્રીમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓછી થતા હવે જનજીવન ફરી પાટા પર આવશે.
આજથી આકાશ સ્વચ્છ થશે, ઠંડીનું જોર ઘટશે
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 20 માર્ચથી દેશના મોટાભાગના વિસ્તારો સહિત ગુજરાતમાં પણ વાતાવરણમાં સુધારો જોવા મળશે. પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) પૂર્વ તરફ ખસી જતાં હવે વરસાદી વાદળો વિદાય લેશે. જેના કારણે રાજ્યમાં આકાશ સ્વચ્છ થશે અને ખેડૂતોને પોતાના પાકને સાચવવાની તક મળશે. જોકે, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં વરસાદથી મુક્તિ મળશે.
કમોસમી વરસાદે આંબાના પાક અને જનજીવનને પહોંચાડી નુકસાન
અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવ્યો હતો. આ કમોસમી વરસાદ અને તેજ પવનોએ ખેતી પર માઠી અસર કરી છે. ખાસ કરીને આંબાના પાક (કેરી) ને ભારે નુકસાન થયું હોવાના અહેવાલો છે. પવનની ગતિ અને અચાનક આવેલા વરસાદે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. હાલ વાતાવરણમાં જે ઠંડક પ્રસરેલી છે, તે ખેતીના પાક માટે અનુકૂળ ન હોવાનું પણ નિષ્ણાતો જણાવી રહ્યા છે.
એપ્રિલ માસમાં ફરી આવશે આફત: પ્રી-મોન્સૂન એક્ટિવિટીની ચેતવણી
હાલમાં ભલે માર્ચના અંતમાં વરસાદથી થોડી રાહત મળતી જણાય, પરંતુ ખેડૂતો માટે મુશ્કેલીઓ હજુ પૂરી થઈ નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ, એપ્રિલ મહિનો ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ લઈને આવી શકે છે. ખાસ કરીને 10 એપ્રિલ થી 20 એપ્રિલ દરમિયાન રાજ્યના હવામાનમાં વ્યાપક પલટો આવવાની શક્યતા છે. આ સમયગાળામાં 'પ્રી-મોન્સૂન એક્ટિવિટી' તેજ બનવાને કારણે રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની પૂરેપૂરી સંભાવના છે.
આ આગાહીના પગલે ઉનાળુ પાક લેતા ખેડૂતોમાં ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, એપ્રિલના બીજા પખવાડિયામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને હવાનું દબાણ સર્જાતા વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ કમોસમી માવઠાને કારણે ખેતરમાં ઉભા પાક અને લણણી કરેલા માલને નુકસાન પહોંચી શકે છે. તેથી ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ૧૦ એપ્રિલ પહેલા પોતાના ખેતીકામ આટોપી લે અને પાકને સુરક્ષિત સ્થળે ખસેડવાનું આયોજન અત્યારથી જ કરી રાખે, જેથી સંભવિત કુદરતી આફત સામે આર્થિક નુકસાનથી બચી શકાય.
આમ, માર્ચના અંતમાં રાહત મળ્યા બાદ એપ્રિલના બીજા સપ્તાહમાં ફરીથી ખેડૂતોએ સાવધ રહેવું પડશે. સતત બદલાતા હવામાનને કારણે કૃષિ નિષ્ણાતો ખેડૂતોને પાકની લણણી અને સંગ્રહ બાબતે અત્યારથી જ આયોજન કરવાની સલાહ આપી રહ્યા છે.




















