Ambaji Development Mega Master Plan: ગુજરાતના પવિત્ર યાત્રાધામ શ્રી અંબાજી માતાના મંદિરમાં હવે આવશે નવો રૂપ, નવી ઊર્જા અને વૈશ્વિક ધોરણની આધ્યાત્મિકતા. રાજ્ય સરકારે દાંતા તાલુકાના અંબાજી યાત્રાધામ માટે રૂ. 1632 કરોડના મેગા માસ્ટર પ્લાનની ઘોષણા કરી છે, જે બે તબક્કામાં અમલમાં મુકાશે. આ વિશાળ પ્રોજેક્ટ અંબાજી મંદિરથી લઈને ગબ્બર પર્વત સુધીના સમગ્ર યાત્રાધામને આધુનિક સુવિધાઓથી સંજાળશે અને 'મોડેલ ટેમ્પલ ટાઉન' તરીકે વિકસાવશે.
આધ્યાત્મિકતા અને આધુનિકતાનો સુમેળ: શક્તિ કૉરિડોર
માસ્ટર પ્લાન અંતર્ગત અંબાજી મંદિરથી ગબ્બર પર્વત સુધી “શક્તિ કૉરિડોર” નિર્માણ થશે. આ કૉરિડોરમાં યાત્રાળુઓ માટે ઈન્ટરએક્ટિવ માર્ગ, દિવ્ય દર્શન પ્લાઝા, ગેલેરીઓ અને ભીંતચિત્રો સહિતની વિવિધ આધ્યાત્મિક અને શૈક્ષણિક સુવિધાઓ ઉમેરાશે.
શક્તિ કૉરિડોરનું નેટવર્ક અંબાજી મંદિર, માનસરોવર અને ગબ્બર પર્વતને ભવ્ય રીતે જોડશે, જેના કારણે યાત્રાળુઓ માટે અનુભવ વધુ ભક્તિસભર અને યાદગાર બનશે.
મહત્ત્વના વિકાસકાર્યોઃ
પ્રથમ તબક્કો (અંદાજે રૂ. 950 કરોડ):
અંબાજી મંદિરથી ગબ્બર પર્વત સુધી શક્તિ કૉરિડોર
અંડરપાસ અને યાત્રી આગમન માટે અંબાજી ચોકનો વિકાસ
મલ્ટી લેવલ પાર્કિંગ, યાત્રી નિવાસ ભવન
સતી ઘાટ વિસ્તાર અને ગબ્બર આગમન પ્લાઝા (લાઇટ એન્ડ સાઉન્ડ શો)
દિવ્ય દર્શન પ્લાઝા, પગપાળા માર્ગ અને વાહન વ્યવસ્થાપન
બીજો તબક્કો (અંદાજે રૂ. 682 કરોડ):
ગબ્બર મંદિર અને પર્વત વિસ્તારનું વિસ્તૃત વિકાસ
માનસરોવર અને સતી સરોવરનો નવું અવતાર
પરિક્રમા માર્ગ, રોપવે સુવિધા અને દર્શનાર્થી વ્યવસ્થાપન
ધાર્મિક ઉત્સવો માટે વિશેષ પ્લાનિંગઃ
અંબાજી ખાતે વર્ષભર ભાદરવી પૂનમ સહિત અનેક ધાર્મિક મેળા યોજાય છે. આવી ભીડભાડ વાળા પ્રસંગો માટે ઇવેન્ટ પ્લાઝા, ગરબા મેદાન અને શ્રદ્ધાળુઓ માટે વિશાળ જગ્યા ધરાવતાં વિસ્તારોની રચના કરવામાં આવશે.
વૈશ્વિક ધોરણના આધ્યાત્મિક કેન્દ્ર તરફ પગલાંઃ
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા આ કોમ્પ્રિહેન્સિવ અને ઈકો-ફ્રેન્ડલી માસ્ટર પ્લાનનો મુખ્ય ઉદ્દેશ છે:
યાત્રાળુઓ માટે અનુકૂળ, સુરક્ષિત અને ભાવનાત્મક યાત્રા અનુભવ સુનિશ્ચિત કરવો
પવિત્ર સ્થળોની ઐતિહાસિક અને ધાર્મિક મહત્વતાને જીવંત રાખી તેને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવી
યાત્રાધામને ભવિષ્યના 50 વર્ષ માટે તૈયાર કરવું
અંબાજી હવે માત્ર યાત્રાધામ નહીં પણ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિકોણથી વૈશ્વિક ધરોહર તરીકે વિકસવા જઈ રહ્યું છે. માતા સતીનું હૃદયસ્થળ ગણાતું ગબ્બર અને વિશ્વા યંત્રસ્થળ શ્રી અંબાજી મંદિરના એકીકૃત વિકાસથી આ યાત્રાધામ એક અનોખું આધ્યાત્મિક પર્યટન સ્થળ બનશે.




















