Jamnagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'હરિયાળી અભિયાન' અને પર્યાવરણ સુરક્ષાના સંકલ્પને વેગ આપવા માટે ગુજરાતના ગૃહ વિભાગ અને હોમગાર્ડ દળ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ જામનગર હોમગાર્ડ વિભાગના જવાનોએ વન વિભાગ સાથે સંકલન સાધીને ૧૨,૦૦૦ જેટલા 'સીડ્સ બોલ' તૈયાર કર્યા છે.
વૈજ્ઞાનિક પદ્ધતિથી સીડ્સ બોલનું નિર્માણ
આ સીડ્સ બોલ બનાવવા માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. જેમાં મુખ્યત્વે લીમડો, પીપળો, વડલો, જાંબુડી અને ગુલમોહર જેવા ભારતીય આબોહવાને અનુકૂળ વૃક્ષોના બીજનો ઉપયોગ થયો છે. માટી અને દેશી ખાતરના યોગ્ય મિશ્રણ સાથે આ બીજને જોડીને નાના ગોળા (સીડ્સ બોલ) બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને એવા વૃક્ષોને પ્રાથમિકતા અપાઈ છે જે ઓછા પાણીમાં પણ સારી રીતે ઉગી શકે અને લાંબો સમય ટકી શકે.
ભાવનગરનાં પાલીતાણામાં રૂપિયાની લેતીદેતીનો વિવાદ બન્યો જીવલેણ : મારામારી થતા મળ્યું મોત, એક ગંભીર
વનીકરણ માટે વન વિભાગને કરાશે સુપ્રત
તૈયાર કરવામાં આવેલા આ ૧૨,૦૦૦ સીડ્સ બોલ આગામી સમયમાં વન વિભાગને સોંપવામાં આવશે. વન વિભાગ દ્વારા આ બોલ્સને શહેરના ખુલ્લા વિસ્તારો, પડતર જમીન અને જંગલ વિસ્તારોમાં વિખેરવામાં આવશે. ચોમાસાના આગમન સાથે જ વરસાદી પાણી મળતા આ બીજમાંથી કુદરતી રીતે અંકુર ફૂટશે અને નવા વૃક્ષો ઉગી નીકળશે. ગીરીશ સરવૈયાએ જણાવ્યું હતું કે અમારો લક્ષ્યાંક છે કે આ ૧૨,૦૦૦ સીડ્સ બોલમાંથી ઓછામાં ઓછા ૬,૦૦૦થી વધુ ઘટાદાર વૃક્ષો ઉગી નીકળે અને પર્યાવરણને શુદ્ધ બનાવવામાં મદદરૂપ થાય."
સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ
હોમગાર્ડ જવાનો સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં વ્યસ્ત હોય છે, પરંતુ પોતાની ફરજની સાથે પર્યાવરણ પ્રત્યેની આ પ્રતિબદ્ધતા દર્શાવીને તેમણે એક અનોખો દાખલો બેસાડ્યો છે. સ્થાનિક વહીવટી તંત્ર અને જામનગરના નાગરિકો દ્વારા હોમગાર્ડ વિભાગની આ નવતર પહેલને વ્યાપક પ્રતિસાદ અને પ્રશંસા મળી રહી છે.
આ અભિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે આવનારી પેઢી માટે હરિયાળું અને સ્વસ્થ વાતાવરણ નિર્મિત કરવાની દિશામાં એક મક્કમ ડગલું છે.






