નખત્રણામાં પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે એક પાટીદાર સમાજનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ આર પી પટેલે જાહેર સમારોહમાં મંચ પરથી સમાજને ત્રણથી ચાર બાળકો પેદા કરવા ભલામણ કરી હતી. જે બાદ પાટીદાર સમાજના વિવિધ આગેવાનોના નિવેદનો સામે આવ્યા છે.
''આર પી પટેલનું જે નિવેદન છે તે યોગ્ય છે''
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, ''આર પી પટેલનું જે નિવેદન છે તે યોગ્ય છે. આજના યુવાનોમાં વનચાઇલ્ડ અથવા તો નો ચાઈલ્ડનો ટ્રેન્ડ ચાલે છે અને આ ટ્રેન્ડના કારણે આગામી દિવસોમાં સમાજમાં કુટુંબ વ્યવસ્થાનો નાશ થશે, અત્યારના બાળકો 20, 30 કે 40 વર્ષ પછી વિચારશે તો તેના કાકા મામા ફઈ કે પછી ભાઈ બહેનના પાત્રો પણ નહીં જોવા મળે. કદાચ એક કુટુંબમાં ભાઈ હશે તો બહેન નહીં હોય અને બહેન હશે તો ભાઈ નહીં હોય''
''સમાજે પણ ચિંતા કરવી જોઈએ''
વધુમાં કહ્યું કે, ''કુટુંબ વ્યવસ્થાનો નાશ ન થાય, સભ્ય સમાજનું વજુદ રહે, હિન્દુ સમાજનું વજુદ રહે, તે માટે લોકોએ આ બાબતે આગળ આવવું જોઈએ. આવા મુદ્દા પર સમાજના અગ્રણી કે કુટુંબના અગ્રણીઓ જલ્દી બોલતા નથી. આર પી પટેલ દ્વારા જે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે તે ખૂબ જ સહજ અને સાર્થક છે અને આ બાબતે સમાજે પણ ચિંતા કરવી જોઈએ. આ બાબતે આર પી પટેલે જ્યારે વાત કરે છે ત્યારે તેમના મનમાં આ બાબતનું પ્લાનિંગ પણ હશે''
''...વડીલો એ ધ્યાન રાખવું જોઈએ''
અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, ''લોકોનો તર્ક એવો રહેતો હોય છે કે વધતી મોંઘવારી અને આર્થિક સ્થિતીને કારણે વન ચાઇલ્ડ યોગ્ય છે, ખર્ચાઓ માટેની જ્યારે વાત થતી હોય છે ત્યારે આપણે કુટુંબવ્યવસ્થાના સંયોજક અને પાલનહાર છીએ, ત્યારે તેનું પ્લાનિંગ પણ અગાઉથી થવું જોઈએ. બાળકોના અભ્યાસ વિકાસ અને લગ્ન સુધીની જે વ્યવસ્થા છે, કુટુંબના વડીલો એ ધ્યાન રાખવું જોઈએ''






