ખેડૂત આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ખેડૂત આગેવાન અલ્પેશ ઢોલરીયાએ કૃષિ નુકસાન અંગે મોટું રાહત પેકેજ જાહેર કરવા બદલ મુખ્યમંત્રીનો ખાસ આભાર માન્યો છે. તેમણે જણાવ્યું કે, 'સરકારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું 10 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને મોટી રાહત આપી છે'.
'ખેડૂતોને 5,500 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું'
અલ્પેશ ઢોલરીયાએ ખેડૂતો વતી ટેકાના ભાવે પાકની ખરીદી કરવા બદલ પણ મુખ્યમંત્રીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે. 'કપાસની ખરીદી દ્વારા કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોને યોગ્ય ભાવ મળ્યો છે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી છે, જે ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ છે'. તેમણે વધુમાં જણાવ્યું કે, 'અત્યાર સુધીમાં કુલ 33 લાખ અરજીઓ કરવામાં આવી છે, જેમાંથી 18 લાખ અરજીઓમાં ચુકવણી થઈ ચૂકી છે. અત્યાર સુધી ખેડૂતોને લગભગ 5,500 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે'.
'આ બાબતે સરકારને રજૂઆત કરવામાં આવી'
કપાસમાં આયાત નીતિના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે અલ્પેશ ઢોલરીયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, 'આ બાબતે સરકારને રજૂઆત કરવામાં આવી છે. હાલ કપાસની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે. વરસાદના કારણે ડુંગળીના ભાવોમાં અસર પડી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ડુંગળીમાં ખેડૂતોને થયેલા નુકસાન બાબતે પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, જેથી ખેડૂતોને યોગ્ય રાહત મળી શકે તેવી માંગ ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવી છે.






