Allahabad High Court Halala Case: અલ્હાબાદ હાઈકોર્ટે નિકાહ, હલાલા અને ત્રણ તલાક જેવી પ્રથાઓના નામે મહિલાઓના યૌન શોષણના આરોપોને લઈને અત્યંત કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વ્યક્તિગત ધાર્મિક કાયદાઓની આડમાં કોઈપણ પ્રકારના ગુનાને કાનૂની સુરક્ષા આપી શકાય નહીં. મહિલાઓના સન્માન, સમાનતા અને બંધારણીય અધિકારો સામે જતી કોઈ પણ પ્રથા સ્વીકાર્ય નથી એવી ટિપ્પણી પણ અદાલતે કરી છે. હાઈકોર્ટે નોંધ્યું કે, આવા કૃત્યો માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નથી પરંતુ સમાજના નૈતિક મૂલ્યો અને માનવ ગૌરવને પણ ગંભીર રીતે આંચકો પહોંચાડે છે. કોર્ટે આ પ્રકારની પ્રથાઓને સમાજના "કાળા પાનાં" તરીકે વર્ણવતા કહ્યું કે મહિલાઓના શારીરિક અને માનસિક શોષણને કોઈપણ સંજોગોમાં યોગ્ય ઠેરવી શકાય નહીં.
અરજદારોને હાઈકોર્ટમાંથી રાહત નહીં
ન્યાયમૂર્તિ જે.જે. મુનીર અને ન્યાયમૂર્તિ તરુણ સક્સેનાની ખંડપીઠે પીડિતાના પૂર્વ પતિ, તેના કાકા, મૌલાના સહિત અન્ય આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી હતી. અરજદારો દ્વારા કેસ રદ કરવાની તેમજ ધરપકડ સામે રક્ષણ આપવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ આ કેસ અત્યંત ગંભીર સ્વરૂપનો છે અને તેમાં સંપૂર્ણ તપાસ જરૂરી છે. અદાલતે કહ્યું કે, તપાસના આ પ્રારંભિક તબક્કે એફઆઈઆર રદ કરવા માટે કોઈ આધાર દેખાતો નથી અને તપાસની પ્રક્રિયા યથાવત ચાલુ રહેશે.
અમરોહાનો છે સમગ્ર મામલો
આ સમગ્ર કેસ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના સૈદનાગલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે બાળપણથી જ તેને નિકાહ, ત્રણ તલાક અને હલાલાના નામે વારંવાર યૌન શોષણનો ભોગ બનવું પડ્યું હતું. કોર્ટ સમક્ષ રજૂ થયેલા દસ્તાવેજો મુજબ પીડિતાનું લગ્ન સમયે વય ખૂબ ઓછી હતી અને ત્યારબાદ તેને વિવિધ ધાર્મિક પ્રથાઓના નામે વારંવાર શોષણનો સામનો કરવો પડ્યો હતો. અદાલતે નોંધ્યું કે, હાલ સુધી સામે આવેલા તથ્યો અત્યંત ગંભીર છે અને તમામ આરોપીઓની સંભવિત ભૂમિકાની ઊંડી તપાસ જરૂરી છે.
આ પણ વાંચો: ધ્રુવ રાઠીના વીડિયો મામલે હવે GAC લેશે નિર્ણય : જાણો હાઈકોર્ટે શું કહ્યું અને સમગ્ર વિવાદ શું છે?
'વ્યક્તિગત કાયદાની દલીલ ગુનામાં માન્ય નથી'
અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું કે ફોજદારી કાયદા સંબંધિત મામલાઓમાં વ્યક્તિગત ધાર્મિક કાયદાની દલીલોને આધારે ગુનાઓને યોગ્ય ઠેરવી શકાય નહીં. કોર્ટે જણાવ્યું કે જ્યારે કોઈ કૃત્ય ફોજદારી ગુનાની શ્રેણીમાં આવે છે ત્યારે તે અંગે માત્ર વ્યક્તિગત કાયદાનો આધાર લઈને જવાબદારીમાંથી છટકી શકાય નહીં. ન્યાયપીઠે કહ્યું કે કાયદો પોતે કોઈ ખાસ છૂટછાટ આપે તે સિવાય વ્યક્તિગત પરંપરા અથવા ધાર્મિક પ્રથા ગુનાને કાનૂની માન્યતા આપી શકતી નથી.
પીડિતાને બે વખત કરાવવામાં આવ્યું હલાલા
એફઆઈઆર મુજબ એપ્રિલ 2015માં પીડિતાને મુખ્ય આરોપી અજહર નવાઝ સાથે નિકાહ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. તે સમયે તેની ઉંમર માત્ર 15 વર્ષ હતી. આરોપ છે કે, જાન્યુઆરી 2016માં અજહર નવાઝે તેને ત્રણ તલાક આપી દીધો હતો. ત્યારબાદ ફરી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરીને નવેમ્બર 2016માં તેને અન્ય સહ-આરોપી મૌલાના કય્યૂમ સાથે નિકાહ હલાલા માટે મજબૂર કરવામાં આવી હતી. તે સમયે પીડિતાની ઉંમર માત્ર 16 વર્ષ હતી. પીડિતાએ મેજિસ્ટ્રેટ સમક્ષ જણાવ્યું હતું કે તેને તે સમયે હલાલાનો અર્થ પણ ખબર નહોતો અને તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો.
ચાર વર્ષ બાદ ફરી તલાક અને નવા આરોપો
અહેવાલો મુજબ, 2017માં પીડિતાનું ફરીથી અજહર નવાઝ સાથે નિકાહ કરાવવામાં આવ્યું હતું. જોકે ચાર વર્ષ બાદ તેને ફરી તલાક આપી દેવામાં આવ્યો હતો અને આરોપીએ અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ આરોપીની બીજી પત્ની સંતાનને જન્મ આપી શકતી ન હોવાથી પીડિતાને ફરીથી પરિવાર સાથે રહેવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, તેને કહેવામાં આવ્યું હતું કે તેના લગ્ન બે વખત તૂટી ગયા હોવાથી તેને ફરીથી બે વખત હલાલાની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
'ડબલ હલાલા'ના નામે સામૂહિક દુષ્કર્મનો આરોપ
ફરિયાદ અનુસાર ફેબ્રુઆરી 2025માં ડબલ હલાલાના નામે મુખ્ય આરોપીના ભાઈઓ અને અન્ય સંબંધીઓએ પીડિતા સાથે બળાત્કાર કર્યો હતો. આરોપ છે કે, તે જ દિવસે સાંજે તેની સાથે ખોટા આધારે નિકાહની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી. હાઈકોર્ટે જણાવ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ આ કેસમાં સગીર વયે બળાત્કાર તેમજ સામૂહિક દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓના તત્ત્વો દેખાઈ રહ્યા છે અને તેથી સમગ્ર ઘટનાક્રમની નિષ્પક્ષ અને વિસ્તૃત તપાસ જરૂરી છે.
સમાજ માટે ચેતવણીરૂપ ટિપ્પણી
અલ્હાબાદ હાઈકોર્ટની આ ટિપ્પણીઓને મહિલાઓના અધિકારો અને માનવ ગૌરવ સાથે જોડાયેલા મુદ્દાઓમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ સામાજિક કે ધાર્મિક પરંપરા બંધારણમાં આપવામાં આવેલા સમાનતા, સુરક્ષા અને સન્માનના અધિકારથી ઉપર હોઈ શકે નહીં. આ કેસ હવે માત્ર એક ફોજદારી તપાસ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ મહિલાઓના અધિકારો અને ધાર્મિક પ્રથાઓની વ્યાખ્યા અંગે વ્યાપક ચર્ચાનો વિષય પણ બની રહ્યો છે.





