Ketan Agarwal Murder Case: પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યા કેસમાં તપાસ હવે વધુ નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહી છે. કેસની મુખ્ય આરોપી અને કેતનની મંગેતર સિયા ગોયલ પાસેથી ઘટનાની સંપૂર્ણ હકીકત બહાર લાવવા માટે પોલીસ હવે વૈજ્ઞાનિક તપાસ પદ્ધતિઓનો સહારો લઈ રહી છે. અત્યાર સુધી ઘટનાસ્થળની પુનઃરચના, સ્થળ નિરીક્ષણ અને પૂછપરછ બાદ હવે સિયાનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, જેના પરિણામો કેસની દિશા બદલાવી શકે છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે, લાઈ ડિટેક્ટર ટેસ્ટ દરમિયાન પૂછવામાં આવનારા સવાલો દ્વારા 18 જૂનના રોજ લોહગઢ ફોર્ટ ખાતે ખરેખર શું બન્યું હતું તેની સ્પષ્ટ માહિતી મળી શકે છે. પોલીસને આશા છે કે આ પ્રક્રિયા દ્વારા હત્યા પાછળના સંભવિત ષડયંત્ર, સંબંધો અને ઘટનાક્રમના અનેક અજાણ્યા પાસાઓ સામે આવી શકે છે.
લાઈ ડિટેક્ટર ટેસ્ટમાં પૂછાશે 18 મહત્વના સવાલ
સૂત્રોના જણાવ્યા અનુસાર, પુણે પોલીસે સિયા ગોયલના લાઈ ડિટેક્ટર ટેસ્ટ માટે સંભવિત 18 પ્રશ્નોની યાદી તૈયાર કરી છે.
સિયાને આ પ્રશ્નો પૂછવામાં આવશે:
1. શું તમારું નામ સિયા ગોયલ છે?
2. શું તમે સ્વેચ્છાએ આ લાઇ ડિટેક્ટર ટેસ્ટમાં ભાગ લઈ રહ્યા છો?
3. શું તમે કેતન અગ્રવાલને વ્યક્તિગત રીતે જાણો છો?
4. શું તમે કેતન અગ્રવાલ સાથે સગાઈ કરી હતી?
5. શું તમે ચેતન ચૌધરીને વ્યક્તિગત રીતે જાણો છો?
6. શું તમારો જૂન 2026 દરમિયાન ચેતન ચૌધરી સાથે નિયમિત સંપર્ક હતો?
7. શું તમે 18 જૂન, 2026 ના રોજ લોહગઢ વિસ્તારની મુલાકાત લીધી હતી?
8. શું તમે 18 જૂને કેતન અગ્રવાલને મળ્યા હતા?
9. શું તમે 18 જૂને ચેતન ચૌધરીને મળ્યા હતા?
10. શું તમે, કેતન અને ચેતન 18 જૂને એક જ સ્થળે હાજર હતા?
11. શું તમે કેતનને 18 જૂન પહેલાં લોહગઢ જવાનું કહ્યું હતું?
12. શું તમે 18 જૂન પહેલાં ચેતન ચૌધરી સાથે લોહગઢ જવાનું કોઈ આયોજન કર્યું હતું?
13. શું તમે ઘટના પહેલા ચેતન ચૌધરી સાથે કેતનના સ્થાન અથવા પ્રવૃત્તિઓ વિશે માહિતી શેર કરી હતી?
14. ૧૮ જૂનના રોજ લોહગઢમાં કેતન અગ્રવાલ સાથે કોઈ શારીરિક ઝઘડો થયો હતો?
15. શું તમે કેતન અગ્રવાલને કોઈ રીતે દબાણ કર્યું હતું?
16. શું તમે કેતન અગ્રવાલ સામે બળપ્રયોગ કરતા કોઈ અન્ય વ્યક્તિને જોયો હતો?
17. શું તમે ઘટના પછી આ કેસ સંબંધિત કોઈ ચેટ, સંદેશા, કોલ રેકોર્ડ અથવા ડિજિટલ ડેટા ડિલીટ કર્યો હતો?
18. શું તમારી પાસે કેતન અગ્રવાલના મૃત્યુના વાસ્તવિક કારણ અથવા સંજોગો વિશે કોઈ માહિતી છે જે તમે હજુ સુધી તપાસ એજન્સીઓને જાહેર કરી નથી?
આ સવાલોનો મુખ્ય ઉદ્દેશ્ય કેતન અગ્રવાલના મોતની આસપાસ રહેલા રહસ્યોને ઉકેલવાનો છે. પોલીસ સૌપ્રથમ સિયાની ઓળખ અને તેની સ્વૈચ્છિક સંમતિ અંગે સવાલો પૂછશે. ત્યારબાદ તેના અને કેતન અગ્રવાલ વચ્ચેના સંબંધો, સગાઈ અને અન્ય વ્યક્તિઓ સાથેના સંપર્ક અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: મીડિયા સામે સિયા ગોયલે બતાવી મિડલ ફિંગર : ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
ચેતન ચૌધરી સાથેના સંબંધો પણ તપાસના કેન્દ્રમાં
તપાસમાં ચેતન ચૌધરીનું નામ પણ સામે આવ્યું છે. આ કારણે પોલીસ સિયા પાસેથી પૂછપરછ કરશે કે શું જૂન 2026 દરમિયાન તેનો ચેતન ચૌધરી સાથે નિયમિત સંપર્ક હતો અને શું બંને વચ્ચે 18 જૂન પહેલાં લોહગઢ જવાની કોઈ યોજના બનાવવામાં આવી હતી. આ ઉપરાંત, પોલીસ એ પણ જાણવા માંગે છે કે, શું સિયાએ ઘટનાથી પહેલાં કેતનની હિલચાલ, લોકેશન અથવા અન્ય માહિતી ચેતન ચૌધરી સાથે શેર કરી હતી કે નહીં. તપાસ અધિકારીઓનું માનવું છે કે, આ સવાલોના જવાબો કેસમાં મહત્વપૂર્ણ પુરાવા સાબિત થઈ શકે છે.
18 જૂનના ઘટનાક્રમ પર રહેશે વિશેષ ફોકસ
લાઈ ડિટેક્ટર ટેસ્ટ દરમિયાન સૌથી વધુ ભાર 18 જૂનના દિવસે લોહગઢ ફોર્ટ ખાતે બનેલી ઘટનાઓ પર રહેશે. પોલીસ સિયાને પૂછશે કે, શું તે તે દિવસે લોહગઢ વિસ્તારમાં હાજર હતી, શું તેની મુલાકાત કેતન અગ્રવાલ સાથે થઈ હતી અને શું ચેતન ચૌધરી પણ ત્યાં હાજર હતો. તપાસ એજન્સીઓ એ પણ જાણવા માંગે છે કે, ઘટનાસ્થળે કોઈ પ્રકારની શારીરિક ઝપાઝપી થઈ હતી કે નહીં અને શું સિયાએ કેતનને ધક્કો માર્યો હતો. સાથે જ એ સવાલ પણ પૂછવામાં આવશે કે શું તેણે અન્ય કોઈ વ્યક્તિને કેતન સામે બળપ્રયોગ કરતા જોયો હતો.
ડિજિટલ પુરાવા અંગે પણ થશે પૂછપરછ
પોલીસ માત્ર ઘટનાસ્થળ સુધી મર્યાદિત રહેવા માંગતી નથી, પરંતુ ઘટનાપછીના વર્તન પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તપાસકર્તાઓ સિયાને પૂછશે કે, શું તેણે ઘટના બાદ કોઈ ચેટ, મેસેજ, કોલ રેકોર્ડ અથવા અન્ય ડિજિટલ ડેટા ડિલીટ કર્યો હતો. આ ઉપરાંત, તેને એ પણ પૂછવામાં આવશે કે શું તેને કેતન અગ્રવાલના મૃત્યુના વાસ્તવિક કારણો અંગે એવી કોઈ માહિતી છે, જે અત્યાર સુધી તપાસ એજન્સીઓને આપવામાં આવી નથી.
સત્ય સુધી પહોંચવા પોલીસનો પ્રયાસ
પુણે પોલીસનું માનવું છે કે લાઈ ડિટેક્ટર ટેસ્ટમાં મળનારી માહિતી તપાસને નવી દિશા આપી શકે છે. જોકે કાનૂની રીતે લાઈ ડિટેક્ટર ટેસ્ટના પરિણામોને સીધા પુરાવા તરીકે સ્વીકારવામાં આવતા નથી, પરંતુ તેના આધારે તપાસને આગળ વધારવામાં મદદ મળી શકે છે.
અત્યાર સુધી પોલીસ સિયાને અનેક વખત ઘટનાસ્થળે લઈ જઈ ચૂકી છે અને ઘટનાની પુનઃરચના પણ કરી ચૂકી છે. હવે તપાસ એજન્સીઓની નજર લાઈ ડિટેક્ટર ટેસ્ટના પરિણામો પર છે, કારણ કે તેમના મતે આ ટેસ્ટ દ્વારા 18 જૂનના રોજ લોહગઢની પહાડી પર શું બન્યું હતું તે અંગેના અનેક સવાલોના જવાબ મળી શકે છે.
કેસ પર સૌની નજર
કેતન અગ્રવાલ હત્યા કેસ છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેસમાં નવા ખુલાસા અને તપાસની બદલાતી દિશા વચ્ચે હવે સૌની નજર સિયાના લાઈ ડિટેક્ટર ટેસ્ટ પર ટકેલી છે. તપાસ એજન્સીઓનું કહેવું છે કે, તેઓ આ કેસમાં સત્યની દરેક કડી સુધી પહોંચવા માટે તમામ વૈજ્ઞાનિક અને કાનૂની માધ્યમોનો ઉપયોગ કરી રહી છે, જેથી ઘટનાના સાચા કારણો સામે આવી શકે.





