Home National Prashant Kishor Bankipur Bihar Bypoll

પટનાની બાંકીપુર બેઠક પરથી પ્રશાંત કિશોર ચૂંટણી લડશે : 5 જુલાઈએ થશે ઔપચારિક જાહેરાત

બાંકીપુર બેઠક પરથી ચૂંટણી લડશે પ્રશાંત કિશોર
Published by: OBS Bureau
Last Updated: Jul 03, 2026, 11:08 AM IST

બિહારની રાજનીતિમાં મહત્વપૂર્ણ ગણાતી પટનાની બાંકીપુર વિધાનસભા બેઠક પરથી જન સુરાજના સ્થાપક પ્રશાંત કિશોર પ્રથમ વખત પોતે ચૂંટણી લડવા જઈ રહ્યા હોવાની માહિતી સામે આવી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા કિશોર કુમાર મુન્નાએ આ નિર્ણયની પુષ્ટિ કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. જોકે તેમની ઉમેદવારીની સત્તાવાર જાહેરાત 5 જુલાઈએ કરવામાં આવશે. આ નિર્ણયથી પ્રશાંત કિશોર હવે માત્ર ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે નહીં પરંતુ સીધા જનમત મેળવવા મેદાનમાં ઉતરતા નેતા તરીકે નવી ભૂમિકામાં જોવા મળશે. પ્રશાંત કિશોર છેલ્લા ઘણા વર્ષોથી દેશના અનેક મોટા રાજકીય પક્ષો માટે ચૂંટણી વ્યૂહરચના તૈયાર કરતા આવ્યા છે. બાદમાં તેમણે બિહારમાં જન સુરાજ અભિયાન શરૂ કરીને રાજ્યભરમાં લાંબી પદયાત્રા કરી અને ત્યારબાદ જન સુરાજ પાર્ટીની સ્થાપના કરી હતી. અગાઉની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે પોતે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે બાંકીપુર પેટાચૂંટણી દ્વારા તેઓ પોતાની રાજકીય સફરની સીધી ચૂંટણી પરીક્ષા આપવા તૈયાર થયા છે.

બાંકીપુર બેઠકનું રાજકીય મહત્વ

બાંકીપુર વિધાનસભા બેઠક બિહારની સૌથી પ્રતિષ્ઠિત શહેરી બેઠકોમાંની એક માનવામાં આવે છે અને લાંબા સમયથી ભાજપનો મજબૂત ગઢ રહી છે. આ બેઠક ખાલી થયા બાદ પેટાચૂંટણી યોજાવાની છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો પ્રશાંત કિશોર અહીંથી ચૂંટણી લડે છે તો આ માત્ર એક બેઠકની ચૂંટણી નહીં રહે, પરંતુ બિહારમાં ઉભરી રહેલા નવા રાજકીય વિકલ્પની કસોટી બની શકે છે.

જન સુરાજ પાર્ટીએ અગાઉથી જ બાંકીપુર બેઠકને પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યું હતું. પ્રશાંત કિશોરે પણ આ પેટાચૂંટણીને રાજ્ય સરકારના કામકાજ પર જનમત ગણાવી હતી. હવે તેમની સંભવિત ઉમેદવારી બાદ ચૂંટણી વધુ ચર્ચાસ્પદ બનવાની શક્યતા છે.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં જન સુરાજ પાર્ટી ખાતું ખોલી શકી નહોતી
બિહાર વિધાનસભા ચૂંટણીમાં જન સુરાજ પાર્ટીનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું. પાર્ટીએ 238 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, પરંતુ એક પણ બેઠક જીતી શકી નહોતી અને મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી. પ્રશાંત કિશોરે આ હારની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી હતી અને જાહેરમાં કહ્યું હતું કે તેઓ લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા નથી.

વ્યૂહરચનાકારથી ઉમેદવાર સુધીની સફર

પ્રશાંત કિશોરે વર્ષો સુધી વિવિધ રાજકીય પક્ષો માટે ચૂંટણી અભિયાન સંભાળ્યા બાદ બિહારમાં વૈકલ્પિક રાજકારણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો હતો. જન સુરાજ અભિયાન દરમિયાન તેમણે હજારો ગામોની મુલાકાત લઈને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સુશાસન જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખ્યા હતા. હવે પ્રથમ વખત તેઓ પોતે મતદારો પાસેથી સીધો જનસમર્થન માંગશે. રાજકીય નિરીક્ષકો માને છે કે આ ચૂંટણી પ્રશાંત કિશોરની વ્યક્તિગત લોકપ્રિયતા ઉપરાંત જન સુરાજ પાર્ટીના સંગઠન અને જમીનસ્તરના પ્રભાવની પણ કસોટી બનશે. બીજી તરફ ભાજપ માટે પોતાના પરંપરાગત ગઢને જાળવી રાખવાનો પડકાર રહેશે.



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now