નવી દિલ્હી: ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં અત્યારે કેન્દ્ર સરકાર અને ખાનગી એરલાઇન્સ કંપનીઓ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તાજેતરમાં મુસાફરોની સુવિધા માટે એક ઐતિહાસિક નિર્ણય લેતા આદેશ કર્યો હતો કે, દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60% સીટો કોઈ પણ વધારાના ચાર્જ વગર બુક થવી જોઈએ. જોકે, સરકારના આ ગ્રાહક લક્ષી નિર્ણયનો ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટ જેવી મોટી એરલાઇન્સ કંપનીઓએ ઉગ્ર વિરોધ કર્યો છે. એરલાઇન્સનું કહેવું છે કે જો સીટ ચાર્જ બંધ કરવામાં આવશે, તો નુકસાનની ભરપાઈ કરવા માટે તેમણે ફરજિયાતપણે હવાઈ ભાડામાં મોટો વધારો કરવો પડશે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA) એ આ મુદ્દે મંત્રાલયને પત્ર લખીને નિર્ણય પાછો ખેંચવાની વિનંતી કરી છે. એરલાઇન્સના મતે, આ નવા નિયમથી તેમની આર્થિક સ્થિતિ પર માઠી અસર પડશે અને અંતે તો સામાન્ય મુસાફરોએ જ મોંઘી ટિકિટના રૂપમાં તેની કિંમત ચૂકવવી પડશે.
શું છે સરકારનો નવો નિયમ?
અત્યાર સુધીના નિયમો મુજબ, ફ્લાઇટમાં માત્ર 20% સીટો જ વધારાના ચાર્જ વિના ઉપલબ્ધ રહેતી હતી. જ્યારે બાકીની 80% સીટો પર 'પ્રેફર્ડ સીટ' કે 'સીટ સિલેક્શન'ના નામે 500 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીનો તોતિંગ ચાર્જ વસૂલવામાં આવતો હતો. વારંવાર મળતી ફરિયાદોને પગલે સરકારે હવે ૬૦% સીટો ફ્રી બુકિંગ માટે રાખવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, એક જ PNR પર મુસાફરી કરતા પરિવારના સભ્યોને આસપાસની સીટો આપવી પણ હવે ફરજિયાત બનશે.

એરલાઇન્સનો તર્ક: "અમે ઓછા નફા પર કામ કરીએ છીએ"
એરલાઇન્સ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા FIA એ સરકાર સામે ૪ મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા છે:
આવકનો સ્ત્રોત: સીટ સિલેક્શન ચાર્જ એ એરલાઇન્સ માટે કમાણીનો કાયદેસરનો રસ્તો છે. એરલાઇન્સ પહેલેથી જ ખૂબ ઓછા પ્રોફિટ માર્જિન પર ચાલે છે.
વધતો ખર્ચ: એર ઇંધણ (ATF), મેન્ટેનન્સ અને એરપોર્ટ ચાર્જ સતત વધી રહ્યા છે, ત્યારે વધારાની આવક વગર ટકી રહેવું મુશ્કેલ છે.
કિંમત નક્કી કરવાની સ્વતંત્રતા: સરકારના આ હસ્તક્ષેપથી એરલાઇન્સની બજાર મુજબ ભાડું નક્કી કરવાની સ્વતંત્રતા છીનવાઈ જશે.
સલાહનો અભાવ: એરલાઇન્સનો દાવો છે કે આટલો મોટો નિર્ણય લેતા પહેલા મંત્રાલયે તેમની સાથે કોઈ ચર્ચા કે સલાહ-સૂચન કર્યા નથી.
વેબ ચેક-ઈનમાં થતી વસૂલી પર રોક
ઘણીવાર મુસાફરો જ્યારે ટિકિટ બુક કર્યા પછી વેબ ચેક-ઈન કરે છે, ત્યારે તેમને લગભગ તમામ સીટો પેઈડ (ચાર્જ વાળી) બતાવવામાં આવે છે. ફ્રી સીટના નામે માત્ર છેલ્લી હરોળની જૂજ સીટો જ ઉપલબ્ધ હોય છે. DGCA ના નવા આદેશથી હવે મુસાફરો પાસે 60% સીટો પસંદ કરવાનો મફત વિકલ્પ રહેશે. આ પગલાથી મધ્યમ વર્ગના મુસાફરોને મોટી આર્થિક રાહત મળવાની આશા હતી, પરંતુ એરલાઇન્સની ભાડું વધારવાની ચીમકીએ ચિંતા વધારી દીધી છે.
હવે આગળ શું?
ઉડ્ડયન મંત્રાલય અને એરલાઇન્સ વચ્ચેની આ લડાઈ હવે કયા વળાંક પર પહોંચે છે તેના પર સૌની નજર છે. જો સરકાર નમતું જોખે તો મુસાફરોએ સીટ માટે ચાર્જ ચૂકવવો પડશે, અને જો સરકાર મક્કમ રહે તો એરલાઇન્સ ટિકિટના મૂળ ભાવમાં વધારો કરી શકે છે. બંને કિસ્સામાં મુસાફરો પર આર્થિક ભાર આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.




















