Rajkot Air Quality Index : રાજકોટ શહેરમાં પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની છે. શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 300 પાર પહોંચતા હવા હાનિકારક કેટેગરીમાં દાખલ થઈ ગયો છે. વધતા પ્રદૂષણને કારણે નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે, જ્યારે તબીબી નિષ્ણાતો અને પ્રદૂષણ નિયંત્રણ અધિકારીઓએ તાત્કાલિક સાવચેતી રાખવાની અપીલ કરી છે.
પ્રદૂષણ કેમ વધ્યું?
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કે કે લકુમએ જણાવ્યું હતું કે, શિયાળામાં તાપમાન ઘટે છે, જેના કારણે પ્રદૂષિત હવા જમીનસ્તરે અટવાઈ રહે છે અને હવામાં પ્રદૂષણનો સ્તર ઝડપી ગતિએ વધે છે. શહેરમાં વધતા વાહન વ્યવહાર, રોડ વર્ક અને શહેરી વિસ્તારોમાં ભારે ટ્રાફિક પણ પ્રદૂષણ વધવાનું મુખ્ય કારણ ગણાય છે.
રાજકોટની હવા બની ઝેરી
તેમણે વધુમાં કહ્યું કે લોકો શિયાળામાં તાપણા કરતા હોય છે, જેના કારણે હવામાં ધુમાડાનો ઘનત્વ વધી જાય છે અને હવા વધુ પ્રદૂષિત થાય છે. તેથી તાપણાથી દૂર રહેવા અને શક્ય તેટલું ઓછું ધુમાડાવાળી પ્રવૃત્તિઓ કરવામાં આવે તે જરૂરી છે. હાલ રાજકોટની હવા સ્વાસ્થ્ય માટે જોખમી સ્તરે છે. નાગરિકોને ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શ્વાસની તકલીફ ધરાવતા લોકોને બહાર નીકળતા સમયે માસ્ક પહેરવાની, અનાવશ્યક મુસાફરી ટાળવાની અને ઘરમાં શુદ્ધ હવાના ઉપાયો અપનાવવાની સલાહ આપવામાં આવી છે.





















