અમદાવાદ શહેર અત્યારે તેના ઝડપી વિકાસ અને વધતી જતી વાહનોની સંખ્યાને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આગામી વર્ષોમાં જ્યારે શહેર આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમતની ઈવેન્ટ 'કોમનવેલ્થ ગેમ્સ'ની યજમાની કરવાનું છે, ત્યારે વિદેશી મહેમાનો અને સ્થાનીક નાગરિકો માટે પરિવહન વ્યવસ્થા સુગમ રહે તે માટે AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે કમર કસી છે. સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CRRI) દ્વારા શહેરના 35 જેટલા મુખ્ય જંકશન પર ટ્રાફિક સર્વે કરવામાં આવ્યો છે, જેના આધારે કયા સ્થળે બ્રિજ કે એલિવેટેડ કોરિડોરની જરૂર છે તેની પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ પાછળ કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જે અમદાવાદના રસ્તાઓની સુરત બદલી નાખશે.
5 હાઈ-ટેક એલિવેટેડ કોરિડોર: ડબલ હાઈટ બ્રિજ બનશે આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ટ્રાફિકને હળવો કરવા માટે જે 5 હાઈ-ટેક એલિવેટેડ કોરિડોરનું આયોજન કરવામાં આવ્યું છે, તે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ આધુનિક એન્જિનિયરિંગનો નમૂનો સાબિત થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખાસ કરીને મલ્ટી-લેવલ અને ડબલ હાઈટેડ એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે, જે ગીચતા ધરાવતા વિસ્તારોમાં હયાત બ્રિજની ઉપરથી પસાર થઈને વાહનચાલકોને લાંબા અંતરની સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે. પશ્ચિમ અમદાવાદમાં નહેરુનગરથી શિવરંજની થઈને ઇસ્કોન જંકશન સુધીનો કોરિડોર સૌથી મહત્વનો બની રહેશે, જે એસ.જી. હાઈવે અને સી.જી. રોડ વચ્ચેના ટ્રાફિક ભારણને ઘટાડશે. તેવી જ રીતે, શહેરના હાર્દ સમાન કોટ વિસ્તારમાં કાલુપુર જંકશનથી શાહપુર મેટ્રો સુધીનો એલિવેટેડ માર્ગ પ્રેમ દરવાજા, દરિયાપુર અને દિલ્હી દરવાજા જેવા અત્યંત વ્યસ્ત જંકશનો પરથી પસાર થઈને પરિવહન અત્યંત ઝડપી બનાવશે.
પૂર્વ અમદાવાદ અને રિંગ રોડની કનેક્ટિવિટી સુધારવા માટે પણ નક્કર આયોજન કરાયું છે. ઓઢવ ખારીકટ કેનાલથી ઈન્દોર હાઈવે એપ્રોચ સુધીનો રૂટ માલસામાનના પરિવહન અને લાંબા અંતરના મુસાફરો માટે આશીર્વાદરૂપ બનશે. આ ઉપરાંત, બોપલ વિસ્તારના વિકાસને ધ્યાને રાખીને વકીલ સાહેબ બ્રિજથી ઘુમા સુધી એલિવેટેડ કોરિડોર લંબાવવામાં આવશે, જે એસ.પી. રિંગ રોડ સાથેના જોડાણને વધુ મજબૂત બનાવશે. સૌથી મહત્વની બાબત એ છે કે એસ.જી. હાઈવે પર સાણંદ ચોકડી પાસે હયાત બ્રિજની ઉપર જ વધુ એક 'ડબલ હાઈટ' એલિવેટેડ કોરિડોર તૈયાર કરવામાં આવશે, જે ભવિષ્યના ટ્રાફિક ગ્રોથને પહોંચી વળવા માટે ગેમ-ચેન્જર સાબિત થશે. આ પાંચેય કોરિડોર 2030 સુધીમાં અમદાવાદની સકલ બદલી નાખશે અને કોમનવેલ્થ ગેમ્સ જેવા આંતરરાષ્ટ્રીય આયોજન માટે શહેરને સજ્જ કરશે.
GPR ટેકનોલોજીનો ઉપયોગ: કામગીરીમાં વિલંબ ટાળવા નવો નુસખો
અવારનવાર બ્રિજના કામોમાં અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન કે ઈલેક્ટ્રિક કેબલના કારણે વિલંબ થતો હોય છે. આ વખતે AMC ગ્રાઉન્ડ પેનીટ્રેશન રિપોર્ટ (GPR) સર્વે કરાવશે. આ ટેકનોલોજીની મદદથી જમીનની અંદર રહેલી યુટિલિટી લાઈનોને કામ શરૂ કરતા પહેલા જ લોકેટ કરી શકાશે. જો શક્ય હશે તો નાની લાઈનોનું શિફ્ટિંગ કરાશે, અન્યથા લાઈનોને ખલેલ પહોંચાડ્યા વગર બ્રિજનું ફાઉન્ડેશન કેવી રીતે તૈયાર કરવું તેની ડિઝાઇન બનાવવામાં આવશે.
આ મહત્વના 18 જંકશનો પર શરૂ થશે કામગીરી
અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાના ભાગરૂપે શહેરના અત્યંત વ્યસ્ત એવા 18 મુખ્ય જંકશનો પર નવી કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેનો મુખ્ય હેતુ વાહનચાલકોનો સમય બચાવવાનો અને ટ્રાફિકની જટિલતા ઘટાડવાનો છે. આયોજન મુજબ, શાહીબાગ અંડરપાસનું સંપૂર્ણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે અને સુભાષબ્રિજ તરફ જતી અવરજવરને વધુ સરળ બનાવવા માટે એક વધારાનો એડિશનલ અંડરપાસ પણ તૈયાર કરાશે. શહેરના રેલવે ક્રોસિંગ પર વારંવાર થતા જામને નિવારવા માટે વટવા-વિંઝોલ, પુનિતનગર, મણિનગર, સરદારગ્રામ અને જનતાનગર રેલવે ક્રોસિંગ પર નવા ટુ-લેન રેલવે ઓવરબ્રિજ (ROB) બાંધવામાં આવશે. આ ઉપરાંત, શહેરના મુખ્ય ટ્રાફિક જંકશન્સ જેવા કે મેમ્કો, ડફનાળા અને સિલ્વર સ્ટાર જંકશન પર નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવાની દરખાસ્ત છે, જે સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે.
એસપી રિંગ રોડ પર ટ્રાફિકના વધતા ભારણને પહોંચી વળવા માટે ભક્તિ સર્કલ અને દહેગામ જંકશન પર પણ ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. એરપોર્ટ તરફના પરિવહનને વધુ વેગ આપવા માટે કેન્ટોનમેન્ટ વિસ્તારમાંથી પસાર થતા 24 મીટરના એક નવા અંડરબ્રિજનું આયોજન છે, જે મુસાફરો માટે એરપોર્ટ સુધી પહોંચવાનો માર્ગ ટૂંકો અને સરળ બનાવશે. આ તમામ પ્રોજેક્ટ્સમાં આધુનિક એન્જિનિયરિંગનો ઉપયોગ કરી જમીન હેઠળની પાઈપલાઈનો અને કેબલ્સની સુરક્ષા માટે GPR (Ground Penetration Radar) સર્વેનો પણ ઉપયોગ કરવામાં આવશે, જેથી બાંધકામ દરમિયાન વિલંબ ટાળી શકાય અને નિર્ધારિત સમય મર્યાદામાં આ સુવિધાઓ જનતા માટે ઉપલબ્ધ કરાવી શકાય.
પ્રોજેક્ટની ફાળવણી અને સમયમર્યાદા
આ પ્રોજેક્ટ માટે AMCએ બજેટમાં મોટી ફાળવણી કરી છે. એલિવેટેડ કોરિડોર માટે અંદાજે ₹1000 કરોડ અને રેલવે ઓવરબ્રિજ માટે ₹775 કરોડ જેટલી માતબર રકમ ખર્ચવામાં આવશે. મોટાભાગના પ્રોજેક્ટ્સની ડિઝાઇન અને ફિઝિબિલિટી સર્વે અત્યારે અંતિમ તબક્કામાં છે અને આગામી ચાર વર્ષમાં એટલે કે 2029-30 સુધીમાં આ તમામ બ્રિજ લોકો માટે ખુલ્લા મુકવાની નેમ છે.



















