Ahmedabadમાં ઉનાળાની શરૂઆત સાથે જ શાકભાજીના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લાંભા માર્કેટ યાર્ડના ઇન્સ્પેક્ટર અશોકભાઇ પટેલે જણાવ્યું છે કે ઋતુ પરિવર્તનની અસર હવે બજારમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે અને આગામી સમયમાં ભાવ વધવાની શક્યતા છે.
અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર શિયાળાની સિઝનમાં મોટાભાગનું શાકભાજી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટા પ્રમાણમાં આવતું હતું. પરંતુ હવે ગરમી વધતા સ્થાનિક પાકની આવક ધીરે ધીરે ઘટવા લાગી છે. જેના કારણે બજારમાં પુરવઠો જાળવી રાખવા માટે અન્ય રાજ્યો પર નિર્ભરતા વધતી જાય છે.
હાલમાં અનેક પ્રકારના શાકભાજી બહારના રાજ્યોમાંથી ગુજરાતમાં આવી રહ્યા છે. વટાણા મુખ્યત્વે યુપી, દિલ્હી અને શિમલા વિસ્તારમાંથી આવે છે. જ્યારે આદુ બેંગ્લોર, સુરત, વ્યારાઅને મધ્ય પ્રદેશમાંથી મંગાવવામાં આવે છે. ફ્લાવર અને કોબીજનો સ્થાનિક પાક હવે પૂર્ણ થવાને આરે હોવાથી તેની આવક પણ મુખ્યત્વે મધ્ય પ્રદેશ અને દિલ્હીમાંથી થઈ રહી છે.
તે જ રીતે મરચાંની સ્થાનિક સિઝન પણ પૂર્ણ થઈ ગઈ હોવાથી હવે ઉત્તર પ્રદેશમાંથી દરરોજ અંદાજે 10થી 15 ટ્રક મરચાં ગુજરાતમાં આવી રહ્યા છે. બહારના રાજ્યોમાંથી શાકભાજી લાવવા માટે વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને અન્ય ખર્ચાઓને કારણે બજારમાં ભાવ વધવાની શક્યતા છે.
માર્કેટ યાર્ડ ઇન્સ્પેક્ટર અશોકભાઈ પટેલે જણાવ્યું કે આગામી દિવસોમાં ગરમી વધતા શાકભાજીના ભાવમાં અંદાજે 10થી 15 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે. જેના કારણે ઘરગથ્થુ બજેટ પર પણ અસર પડી શકે છે.




















