અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના સ્પાનનો ભાગ બેસી ગયો
વાહનચાલકોએ દધીચિ બ્રિજનો ઉપયોગ કરવો
ગંભીર ક્ષતિ હશે તો 3 મહિના બંધ રહી શકે
ગંભીરાબ્રિજ દુર્ઘટના બાદ પણ જાગ્યા નથી: વિપક્ષ
સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું, ક્યાં સુધી બંધ રહેશે એ નિર્ણય રિપોર્ટ બાદ લેવાશે
ગુરુવાર રાતથી અમદાવાદમાં ટ્રાફિકના લીધે વાહનચાલકોને ભારે ઉપાધિનો સામનો કરવો પડી રહ્યો છે. જેનું કારણ છે રોજ હજારો વાહનોથી ધમધમતા બ્રિજમાં સર્જાયેલી ખામી. શહેરના 52 વર્ષ જૂના સુભાષબ્રિજમાં તંત્રને તપાસ કરતા અચાનક દેખાઈ તિરાડ. ‘ઇન્સ્પેક્શનમાં જ તિરાડ-સ્પાનમાં ખામી મળતાં સુભાષબ્રિજ બંધ કરવાની તંત્રને ફરજ પડી છે. સુભાષબ્રિજનું સ્પાન બેસતા બ્રિજ તાત્કાલિક બંધ કરાયો હોવાનું સ્ટેડિંગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું છે. એટલું જ નહીં હવે બ્રિજ ક્યારે ફરી શરૂ થશે તે મુદ્દે તેમણે જણાવ્યું છેકે, સુભાષબ્રિજના ઈન્સ્પેક્શન દરમિયાન જ તિરાડ-સ્પાનમાં ખામી મળતા બ્રિજ બંધ કરાયો હતો. બ્રિજ ક્યાં સુધી બંધ રહેશે તે નિર્ણય તપાસ રિપોર્ટ બાદ જ લેવાશે.
અમદાવાદના સૌથી વ્યસ્ત અને જુના કોટ વિસ્તારમાં પ્રવેશવા માટેનો એક પ્રકારે મુખ્ય દ્વાર ગણાતા એવા સાબરમતી નદી પર આવેલા સુભાષબ્રિજના સ્પાનનો ભાગ બેસી જવાના પગલે બ્રિજને અવરજવર માટે બંધ કરાયો છે. આજે 5 ડિસેમ્બરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બિલ્ડિંગ વિભાગની ટીમે બોટમાં બેસીને નીચેથી સુભાષબ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું હતું. સાથે જ બ્રિજ ઇન્સ્પેક્શન કન્સલ્ટન્ટની ટીમને સાથે રાખીને ડ્રોન ઉડાડીને તપાસ કરવામાં આવી.
ઉલ્લેખનીય છેકે, આ બ્રિજ પરથી રોજ અંદાજે સવા લાખ જેટલાં વાહનોની નિયમિત અવરજવર રહેતી હોય છે. સુભાષબ્રિજ બંધ થવાના કારણે વાહનચાલકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં ખાસ કરીને નોકરિયાત વર્ગને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. નોકરિયાત કે ધંધાદારી વર્ગને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં જ્યાં પહેલાં 30 મિનિટ થતી હતી ત્યાં હવે 50 મિનિટ જેવો સમય લાગે છે. એટલેકે, ઓલમોસ્ટ તેમનો સમય બમણો થઈ છે.
હાલ પ્રાથમિક ધોરણે તંત્ર દ્વારા સુભાષબ્રિજ પાંચ દિવસ બંધ રહેશે તેવું કહેવામાં આવ્યું છે. ત્યારે વાહનચાલકોને વૈકલ્પિક રસ્તા પરથી જવું પડશે. ડાયવર્ઝન હોવાના કારણે રાણીપ ડી માર્ટ અને પરીક્ષિતલાલ બ્રિજ અને વાડજ સર્કલ પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો જેના કારણે ઓફિસ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સમગ્ર મામલે અમદાવાદ મનપાના વિપક્ષી નેતા આક્રામક મૂડમાં જોવા મળ્યાં. આજે સવારે પોલીસના રોકવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ સુભાષબ્રિજ ખાતે પહોંચ્યા હતા. તેમણે તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોરબી-ગંભીરાબ્રિજ દુર્ઘટના બાદ પણ કોર્પોરેશન-ભાજપના સત્તાધીશો જાગ્યા નથી.






