સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ઘટનાને પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને ત્રણ નોટિસ ફટકારી હતી. જેનો ખુલાસો કરવા પુણેથી સ્કૂલના મેનેજમેન્ટના અધિકારીઓ DEO કચેરી પહોંચ્યા હતા, પરંતુ વિદ્યાર્થીની હત્યાની ઘટના મામલે સ્કૂલ દ્વારા જે બેદરકારી રાખવામાં આવી હોવાનું સામે આવતા સ્કૂલ મેનેજમેન્ટે આચાર્યને સસ્પેન્ડ કર્યા હોવાની માહિતી સામે આવી છે.
સેવન્થ ડે સ્કૂલના આચાર્ય ની હકાલપટ્ટી કરાઈ
સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે DEOએ સ્કૂલને ત્રણ નોટિસ ફટકાર્યા બાદ ખુલાસો કરવા છેક પુણથી સ્કૂલની મેનેજમેન્ટ ટીમ DEO કચેરી પહોંચી હતી. ખુલાસામાં માત્ર સ્કૂલના પ્રિન્સિપાલની હકાલપટ્ટી કરી હોવાનું અને તેની સામે નવા પ્રિન્સિપાલની નિમણૂક કરી હોવાનું રટણ કર્યું હતું. એટલું જ નહીં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 18 જેટલા ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા હતા, જેની સામે માત્ર સ્કૂલ તંત્રે 13 જ ડોક્યુમેન્ટ જમા કરાવી શકી છે.
સ્કૂલ મેનેજમેન્ટને ખુલાસો કરવા આદેશ કર્યો હતો
સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટએ સ્કૂલના પ્રિન્સિપાલ જી. ઈમેન્યુઅલની હકાલપટ્ટી કરી છે, તેમની જગ્યાએ પ્રિન્સીપાલ તરીકે ઉન્દ્રાની રોબિનસનને મૂકવામાં આવ્યા છે. જોકે હત્યાની ઘટના બની ત્યાર બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સ્કૂલ મેનેજમેન્ટે જે બેદરકારી વિદ્યાર્થીને સારવાર માટે લઈ જવામાં દાખવવામાં આવી તે મામલે સ્કૂલનો ખુલાસો માંગ્યો હતો. વધુમાં આ મામલે વાલીઓની અલગ અલગ ફરિયાદોના આધારે સ્કૂલ મેનેજમેન્ટ પાસે 18 જેટલા ડોક્યુમેન્ટ માંગ્યા હતા અને સ્કૂલ મેનેજમેન્ટને ખુલાસો કરવા આદેશ કર્યો હતો.
સોમવારે સ્કૂલ તંત્ર ખુલાસો કરશે?
પૂણેથી ત્રણ અધિકારીઓની ટીમ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ પહોંચી હતી. જોકે આ ટીમ યોગ્ય ખુલાસા કરી શકી નથી અને સ્કૂલ પાસે માંગલા 18 જેટલા ડોક્યુમેન્ટની સામે માત્ર 13 ડોક્યુમેન્ટ સ્કૂલ દ્વારા જમા કરાવવામાં આવ્યા છે. મહત્વના વધારાના ડોક્યુમેન્ટ સોમવારે જમા કરાવશે તેવું અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું છે.






