ભારે વરસાદના કારણે ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા અમદાવાદની સાબરમતી ઘોડાપૂર જોવા મળી રહ્યો છે. નદીમાં પાણીનું જળ સ્તર વધતા રિવરફ્રન્ટ પરના નીચાણવાળા વિસ્તારો અને વોક-વે પર પાણી ફરી વળ્યું છે. તો બીજી તરફ બાકરોલ ગામ પાસે નદીના પ્રવાહમાં 25 લોકો ફસાયા હતા. જે લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે.
બાકરોલ પાસે સાબરમતી નદીમાં 25 માણસો ફસાયા
દશકોઈ તાલુકાના સરખેજ નજીક આવેલા બાકરોલ ગામે અચાનક સાબરમતીનુ પાણી પહોંચતા રેલવે બ્રિજનું કામકરતા 30 જેટલા શ્રમિકો પાણીમાં ફસાઈ ગયા હતા. પરિસ્થિતિ ગંભીર બનતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત બાકરોલ ગામના સાબરમતી નદી ભાઠામાં પહોંચી ગઈ હતી.
રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવી લેવાયા
ભારે વરસાદ અને પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે અતિ જોખમી પરિસ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ફાયર બ્રિગેડના જવાનો શ્રમિકોને સલામત સ્થળે ખસેડી દીધા છે.






