PM Modi Gujarat tour: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે. નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શો યોજાયા બાદ ખોડલધામ ગ્રાઉન્ડ જનસભાનું આયોજન કરાયું છે. જેમાં 5477 કરોડનાં વિકાસકાર્યાના લોકાર્પણ-ખાત મુહૂર્ત કર્યું છે.
''4078 દિવસથી વધુ શાસન સેવા-દાયિત્વથી અનોખો ઇતિહાસ રચ્યો''
આ જનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ''ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સળંગ 4078 દિવસથી વધુ શાસન સેવા-દાયિત્વથી અનોખો ઇતિહાસ રચ્યો છે, તેમના નેતૃત્વમાં સેનાએ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે.
અમદાવાદમાં કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ અંતર્ગત જલ જીવન મિશન હેઠળ પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે. આ માટે દસ્ક્રોઈ તાલુકામાં ₹27 કરોડના ખર્ચે 15 લાખ લિટર ક્ષમતા ધરાવતો ક્લિયર વોટર પમ્પ તેમજ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવી 23 કિ.મી. લંબાઇમાં ટ્રન્ક મેઇન પાઇપલાઇન નાખવામાં આવી છે, જેનું વડાપ્રધાન લોકાર્પણ કર્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઔડા વિસ્તારના 10 ગામોમાં નર્મદાના શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.
અમદાવાદમાં ખાતમુહૂર્તના કાર્યોથી નાગરિકોની સુવિધામાં વધારો
વડાપ્રધાનના હસ્તે અમદાવાદમાં થયેલા ખાતમુહૂર્તના કામોમાં શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમનું બાંધકામ અને 5 વર્ષનું સંચાલન અને જાળવણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટ્રીટ ફર્નિચર સાથે લૉ ગાર્ડન અને મીઠાખળી પ્રિસિંક્ટનો વિકાસ, થલતેજ વોર્ડ અને પશ્વિમ ઝોનના નારણપુરા વોર્ડ, પશ્વિમ ઝોન ચાંદખેડામાં નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનનું નિર્માણ, અમદાવાદ શહેરમાં સાબરમતી અને અમદાવાદ સ્ટેશન વચ્ચે ફોર લેન અસારવા રેલ્વે ઓવર બ્રિજનું પુનર્નિર્માણ વગેરેનો સમાવેશ થાય છે.






