Ahmedabad Metro Revenue: અમદાવાદના ટ્રાફિકને હળવો કરવા અને શહેરીજનોને આધુનિક સુવિધા આપવા માટે શરૂ કરવામાં આવેલી અમદાવાદ મેટ્રો હાલમાં આર્થિક મોરચે સંકટમાં હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગરથી પ્રાપ્ત થયેલી ચોંકાવનારી માહિતી મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં મેટ્રો ટ્રેનના સંચાલન અને જાળવણી પાછળ આશરે 1868 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. તેની સામે જો આવકના આંકડા જોઈએ તો તે આશ્ચર્યજનક રીતે ખૂબ જ ઓછા છે. વર્ષ 2023 થી 2025 દરમિયાન મેટ્રોની કુલ આવક માત્ર 133 કરોડ રૂપિયાની આસપાસ જ નોંધાઈ છે, જે કુલ ખર્ચના 10% થી પણ ઓછી છે.
મેટ્રોમાં મુસાફરોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને દૈનિક લાખો લોકો તેમાં મુસાફરી કરી રહ્યા છે, પરંતુ આર્થિક ગ્રાફ હજુ પણ નીચો જ રહ્યો છે. મેટ્રો તંત્ર માટે સૌથી મોટી ચિંતા એ છે કે, પ્રતિ મુસાફર સરેરાશ આવક માત્ર 12 રૂપિયાની આસપાસ જ રહે છે. ઓપરેશનલ કોસ્ટ એટલે કે ટ્રેન ચલાવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે ત્યારે આટલી ઓછી આવક મેટ્રોની લાંબાગાળાની આર્થિક સદ્ધરતા પર પ્રશ્નાર્થ ચિન્હો ઊભા કરી રહી છે.
આવક ઓછી રહેવા પાછળના મુખ્ય કારણો
નિષ્ણાતોના મતે મેટ્રોની આવક ન વધવા પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર છે. પ્રથમ, મેટ્રોના ભાડાં અન્ય પરિવહન સેવાઓની સરખામણીએ ઘણા સસ્તા રાખવામાં આવ્યા છે. બીજું, મોટાભાગના મુસાફરો માત્ર ટૂંકા અંતર માટે જ મેટ્રોનો ઉપયોગ કરે છે, જેના કારણે ટિકિટની કિંમત ઓછી રહે છે. ત્રીજું અને સૌથી મહત્વનું કારણ 'લાસ્ટ માઇલ કનેક્ટિવિટી'નો અભાવ છે. મેટ્રો સ્ટેશનથી ઓફિસ કે ઘર સુધી પહોંચવા માટે ફીડર બસ કે અન્ય સાધનોની પૂરતી સુવિધા ન હોવાથી લાંબા અંતરના મુસાફરો હજુ પણ ખાનગી વાહનોનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
મેટ્રો તંત્ર સામે આર્થિક પડકાર
આ પરિસ્થિતિને જોતા હવે મેટ્રો તંત્ર માટે આવકના નવા સ્ત્રોત ઊભા કરવા અનિવાર્ય બન્યા છે. માત્ર ટિકિટની આવક પર નિર્ભર રહેવાને બદલે સ્ટેશનો પર જાહેરાતો, દુકાનોનું ભાડું અને અન્ય કોમર્શિયલ પ્રવૃત્તિઓ વધારવી પડશે. જો ખર્ચ અને આવક વચ્ચેનો આ મોટો તફાવત ઓછો નહીં થાય, તો આગામી સમયમાં મેટ્રોના પ્રોજેક્ટને આર્થિક રીતે ટકાવી રાખવો મેટ્રો રેલ કોર્પોરેશન માટે મોટો પડકાર બની રહેશે.અમદાવાદ મેટ્રોનું ગણિત બગડ્યું!





