Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન-પ્રતિદિન કથળતી જાય છે. શહેરના પોશ વિસ્તારનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના જીવરાજબ્રિજ પાસે 2 મે ના રોજ રાત્રે બનેલી ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. ચારથી પાંચ શખ્સો મોઢા પર રૂમાલ બાંધી અને માસ્ક પહેરીને અચાનક આવે છે અને એક વ્યક્તિ પર રીતસરના તૂટી પડે છે. લોખંડની પાઈપો અને ધોકા વડે હુમલો કરવામાં આવે છે.
સીસીટીવીમાં સામે આવ્યું છેકે, માત્ર 22 સેકન્ડમાં એક વ્યક્તિને લોખંડની પાઈપો દ્વારા 36 ફટકા મારીને યુવકનું મોત નિપજાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાતિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છેકે, હત્યાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે 4 અસામાજિક તત્વો 22 સેકન્ડમાં લોખંડની પાઇપ અને ધોકાના 36 ફટકા મારે છે. સમગ્ર મામલે અમદાવાદના આનંદનગર પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
મૃતકની ઓળખ નટુભાઈ પરમાર તરીકે થઈ છે, જે વ્યવસાયે પ્લમ્બિંગનું કામ કરતા હતા. હુમલાખોરોએ લોખંડની પાઇપ અને લાકડાના ધોકાનો ઉપયોગ કરીને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઘાયલ નટુભાઈને તાત્કાલિક સારવાર માટે સેટેલાઈટ વિસ્તારમાં આવેલી પારેખ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
CCTV ફૂટેજે ખોલી નૃશંસતાની હકીકત
આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે ચાર હુમલાખોરો એકસાથે નટુભાઈ પર તૂટી પડે છે અને માત્ર 22 સેકન્ડના ગાળામાં 36 જેટલા પ્રહારો કરે છે. હુમલાખોરોની આ ક્રૂરતા જોઈને લોકોમાં રોષ અને ભયનો માહોલ ઊભો થયો છે. પ્રાથમિક તપાસ મુજબ, હુમલાખોરોમાં કનુ ઉર્ફે કાંતિ, હસમુખ, કેતન સહિત અન્ય બે અજાણ્યા શખ્સોનો સમાવેશ થાય છે. હુમલો જીવરાજબ્રિજ નીચે બાપાસીતારામ મોબાઇલ શોપ પાસે કરવામાં આવ્યો હતો. પોલીસે આ તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે.
પુત્રને મિત્ર મારફતે મળી જાણ, હોસ્પિટલમાં દમ તોડ્યો
મૃતકના પુત્ર કૌશિક પરમારે આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તે ગત રાત્રે ચાની કીટલી પર બેઠો હતો ત્યારે તેના મિત્રએ તેને ફોન કરીને જણાવ્યું કે તેના પિતા પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. આ માહિતી મળતા જ કૌશિક તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો અને પોતાના પિતાને રિક્ષામાં લઈ પારેખ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન નટુભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવે પરિવારને આઘાતમાં મૂકી દીધો છે, જ્યારે સ્થાનિકોમાં પણ અસુરક્ષાની લાગણી ઊભી થઈ છે.
હુમલાના કારણ અંગે તપાસ ચાલુ
હાલ પોલીસ દ્વારા હુમલાના મૂળ કારણ અંગે સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ હુમલો કોઈ જૂના વેરઝેરને કારણે થયો હતો કે અન્ય કોઈ કારણ છે તે જાણવા માટે પોલીસ અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી છે. આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે જેથી આરોપીઓની ચોક્કસ ઓળખ અને તેમની હરકતો અંગે વધુ માહિતી મળી શકે. આ ઘટનાએ શહેરમાં ફરી એકવાર સુરક્ષાના મુદ્દા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. ખાસ કરીને જાહેર સ્થળોએ આવી નૃશંસ ઘટનાઓ થવી એ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર ચર્ચાનો વિષય બની છે.
વધતી ગુનાખોરી અને જાહેર સુરક્ષા મુદ્દો
અમદાવાદ જેવા મોટા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આવા બનાવોને રોકવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવું, CCTV નેટવર્ક મજબૂત બનાવવું અને ઝડપથી ન્યાયિક પ્રક્રિયા આગળ વધારવી જરૂરી છે. સ્થાનિક લોકો પણ સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત કરવાની માંગ કરી રહ્યા છે. આ બનાવ માત્ર એક વ્યક્તિની હત્યા નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણી સમાન છે કે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી જરૂરી બની ગઈ છે.





