ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદની સાબરમતી નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે વાસણા બેરેજના 25 દરવાજા ખોલી દેવાયા છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવા સૂચના પણ આપવામાં આવી છે. રિવરફ્રન્ટના વોક-વે ઉપર પાણી ફરી વળ્યા છે.
વાસણા બેરેજ ના ગેટ નંબર 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 અને 29 (કુલ 25 ગેટ) ખોલી સાબરમતી નદીમાં હાલ 51126 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. ઉપરવાસમાં વરસાદ ના કારણે હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે. વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા વિસ્તારમાં રહેતા લોકોએ તકેદારી રાખવા અપીલ કરી છે.
સાબરમતી નદીમાંથી 1નો રેસ્ક્યુ કરાયું
સાબરકાંઠાના પ્રાંતિજના વાઘપુર પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં એક વ્યક્તિ તણાયો હતો. જેના પગલે પ્રાંતિજ, હિંમતનગર અને મોડાસા ફાયર વિભાગ દ્વારા સાબરમતી નદી વહેતા પાણીમાં ફસાયેલા વ્યક્તિને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયો છે. ત્યારબાદ તેને પ્રાંતિજ CHC કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અત્રે જણાવીએ કે, મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલી હતી.
50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
આપને જણાવી દઈએ કે, પાણીની આવક વધતા ધરોઈ ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે, 1.82 મીટર ગેટ ખોલી 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના પગલે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. આપને જણાવીએ કે, હાલમાં આવક 8 હજાર ક્યુસેક પાણીની થઈ રહી છે ત્યારે 92 ટાકા ધરોઈ જળાશય ભરાઈ ગયો છે.





















