Home Gujarat Ahmedabad Ahmedabad Chandkheda Earth School Student Beaten Allegation

અમદાવાદની અર્થ સ્કૂલમાં વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી શિક્ષકે માર્યો માર : ઘટનાની ગંભીરતાથી વાલીઓમાં રોષ

શાળાના નામની છબી અને વિદ્યાર્થીને થયેલી ઈજાની જબી
Play Video
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 11, 2026, 09:16 AM IST

Ahmedabad News: અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શાળાઓમાં શિસ્તના મુદ્દે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી અર્થ સ્કૂલ સામે એક વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. વાલીઓના જણાવ્યા મુજબ, શિક્ષકે ફૂટપટ્ટીથી માર મારતાં બાળકના હાથ પર ઇજાના નિશાન પડ્યા છે. ઘટનાના પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

વાલીઓના જણાવ્યા મુજબ, ઘટના બાદ બાળક ભારે માનસિક આઘાતમાં છે. તેઓનો દાવો છે કે બાળક હવે એટલો ડરી ગયો છે કે શાળાએ જવા માટે પણ તૈયાર નથી. વાલીઓનું કહેવું છે કે શાળામાં બનેલી આ ઘટનાએ બાળકના મનમાં ભય પેદા કર્યો છે, જેના કારણે તેના અભ્યાસ અને માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે.

ફ્રી પિરિયડ દરમિયાન માર માર્યાનો આક્ષેપ

પરિવારના જણાવ્યા અનુસાર, ઘટના દરમિયાન બાળકનો ફ્રી પિરિયડ ચાલી રહ્યો હતો. તે વર્ગખંડની બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો ત્યારે શિક્ષક આવ્યા અને કોઈ સ્પષ્ટ કારણ આપ્યા વગર ફૂટપટ્ટી વડે તેના હાથ પર માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વાલીઓએ દાવો કર્યો છે કે બાળકના હાથ પર પડેલા ઇજાના નિશાન બીજા દિવસે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, "ગઈ કાલે માર મારવામાં આવ્યો હતો અને આજે પણ હાથ પર તેના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા છે." આ ઘટનાના ફોટોગ્રાફ્સ અને અન્ય પુરાવા પણ સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂ કરવાની તૈયારી વાલીઓએ દર્શાવી છે.

આ પણ વાંચો: વડોદરામાં શિક્ષકને 'હેપ્પી બર્થડે' કહેવું વિદ્યાર્થીને ભારે પડ્યું : ગુસ્સે ભરાયેલા શિક્ષકે લાફા ઝીંકી દેતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

અગાઉ પણ બાળકને ઠપકો અપાયો હોવાનો દાવો

વાલીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે આ પહેલી ઘટના નથી. તેમના જણાવ્યા મુજબ, બે દિવસ પહેલાં પણ તેમને શાળામાં બોલાવવામાં આવ્યા હતા અને તેમની હાજરીમાં જ બાળકને શિક્ષક દ્વારા ખીજવામાં આવ્યો હતો. તે સમયે પણ બાળક પર અનાવશ્યક દબાણ કરવામાં આવ્યું હોવાનો દાવો તેમણે કર્યો છે.

વાલીઓનું કહેવું છે કે શિક્ષણમાં શિસ્ત જરૂરી છે, પરંતુ કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓ સાથે શારીરિક સજા કરવી યોગ્ય નથી. તેમણે સમગ્ર મામલે શાળા સંચાલન પાસેથી સ્પષ્ટતા અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.

શાળા સંચાલનનો પક્ષ સામે આવવાનો બાકી

સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી શાળા સંચાલન અથવા સંબંધિત શિક્ષક તરફથી આક્ષેપો અંગે કોઈ સત્તાવાર પ્રતિભાવ સામે આવ્યો નથી. ઘટનાની તમામ હકીકતો જાણવા માટે શાળાનો પક્ષ પણ મહત્વનો રહેશે. જો શાળા તરફથી કોઈ સ્પષ્ટતા અથવા નિવેદન જાહેર કરવામાં આવશે તો તે આધારે વધુ વિગતો બહાર આવી શકે છે. આ પ્રકારના મામલામાં સામાન્ય રીતે શાળા સંચાલન આંતરિક તપાસ કરે છે અને જરૂરી જણાય તો સંબંધિત શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવે છે. જોકે હાલ આ કેસમાં આવી કોઈ કાર્યવાહી અંગે સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી..

આ પણ વાંચો: નોંઘીલો આ તારીખો અંબાલાલ પટેલે કરી છે આગાહી : જાણો ક્યારે અને કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ

વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ફરી ચર્ચા

આ ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથેના વર્તન અને શારીરિક સજાના મુદ્દે ફરી ચર્ચા જગાવી છે. શિક્ષણના અધિકાર કાયદા (RTE) અને બાળ અધિકાર સંબંધિત માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીઓને શારીરિક સજા અથવા માનસિક હેરાનગતિ પહોંચાડવી સ્વીકાર્ય નથી. નિષ્ણાતોનું માનવું છે કે વિદ્યાર્થીઓમાં શિસ્ત જાળવવા માટે સંવાદ, માર્ગદર્શન અને હકારાત્મક શિક્ષણ પદ્ધતિ વધુ અસરકારક સાબિત થાય છે.

વાલીઓએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ, સમગ્ર ઘટનાની હકીકત શાળા સંચાલન અને સંબંધિત સત્તાવાળાઓની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now