અમદાવાદના નાગરિકો માટે દિવાળીની મીઠી ભેટરૂપ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના તહેવારના ત્રણ દિવસ દરમિયાન ધનતેરસ (18 ઓક્ટોબર), કાળીચૌદસ (19 ઓક્ટોબર) અને દિવાળી (20 ઓક્ટોબર) તમામ પ્રવાસીઓ AMTS બસોમાં મફત મુસાફરી કરી શકશે.
આ પહેલ AMTS કમિટી દ્વારા પ્રથમ વખત હાથ ધરવામાં આવી છે. ચેરમેન ધરમશી દેસાઈએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારો તેમજ બહારગામથી મોટી સંખ્યામાં લોકો શહેરમાં ખરીદી કરવા આવતા હોય છે. એ સમય દરમિયાન નાગરિકોને સરળ મુસાફરી સુલભ બને તે હેતુસર આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું કે દેશમાં ‘આત્મ નિર્ભર ભારત અભિયાન’ હેઠળ ‘હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી’ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લાભદાયક સાબિત થશે. મફત પ્રવાસના આ આયોજનથી સ્વદેશી ઉત્પાદનોની ખરીદીમાં વધારો થશે અને દિવાળીની ખરીદી માટે નાગરિકોને સુવિધા મળશે.
ધરમશી દેસાઈએ ઉમેર્યું કે આ પ્રસ્તાવ AMTS કમિટીમાં મંજૂર કરવામાં આવ્યો છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂઆત માટે આવતીકાલે રજૂ કરાશે.






