Cleanliness Survey 2024: દેશભરમાં દર વર્ષે સ્વચ્છતાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે. જેમાં અલગ-અલગ પરિમાણો પર શહેરોની સિવિક સેન્સ અને સ્થિતિની સમીક્ષાને આધારે સર્વેક્ષણ કરવામાં આવે છે. જેમાં આ અવખતે દેશભરમાં અમદાવાદ અવ્વલ આવ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ-2024માં પ્રથમ નંબર મેળવીને અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર બની ગયું છે.
જોકે, એ વાત પણ એટલી જ સાચી છેકે, આજે પણ અમદાવાદમાં અનેક જગ્યાએ ગંદકી, કચરાનો ઢગલો, કાદવ-કિચડ અને તંત્રએ ખોદેલાં ખાડાઓની ભરમાર છે. આ ઉપરાંત વરસાદી પાણી અને જીવાતથી ખદબદતા ખાબોચિયા છે.જેને કારણે થતાં રોગચાળાથી દવાખાનાઓ ઉભરાય છે. અમદાવાદમાં ઠેર-ઠેર રસ્તા પરના ખાડા અને ખાડામાં ખુપેલાં ડિસ્કો રોડના કારણે વાહન ચાલકોએ સ્વાસ્થ્ય સંબંધિત અનેક તકલીફો થાય છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં કોઈક રીતે અમદાવાદનો નંબર લાગી ગયો એ સારી બાબત છે પરંતુ આપણાં શહેરને હંમેશા સાફ-સુધર્યું અને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણાં બધાની જ છે.
શાહના એક સૂચન પર આખુ શહેર સાફઃ
ઉલ્લેખનીય છેકે, ગત નવરાત્રિના પહેલાં જ નોતરે 3 ઓક્ટોબર, 2024ના રોજ અમદાવાદ આવેલા કેન્દ્રિય મંત્રી અમિત શાહે કહ્યું હતું કે હું અમદાવાદના સૌ નાગરિકોને વિનંતી કરું છું કે સ્વચ્છતામાં અમદાવાદને અવ્વલ બનાવો. સર્વેક્ષણમાં અમદાવાદને ટોપ પર લાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે પ્રયાસ હાથ ધર્યા છે. આપણે સાથે મળીને તેમાં સહભાગી થઈએ. એક ગુજરાતીએ જ દેશભરમાં સ્વચ્છતાના સંસ્કાર આપ્યા છે અને આવતા વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાત પહેલાં નંબરે આવે એવો સંકલ્પ કરીએ. આ સંકલ્પને અમદાવાદીઓએ એક અભિયાનના રૂપમાં ઉપાડી લીધું અને અમદાવાદને સ્વચ્છતામાં અવ્વલ બનાવ્યું.
ઉલ્લેખનીય છેકે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 17 જુલાઈના રોજ નવી દિલ્હીમાં સ્વચ્છતામાં ટોપ શહેરોને પુરસ્કારો આપશે. સત્તાવાર જાહેરાત ત્યાં કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સ્વચ્છતા સર્વે-2024ના પરિણામો જાહેર કર્યા છે. અમદાવાદે બધા શહેરોને પાછળ ધકેલીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. આમાં, ભોપાલ દેશમાં બીજા ક્રમે છે. ગયા વર્ષે ભોપાલ પાંચમા ક્રમે હતું. તેમજ, લખનઉ 44મા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.






