અમદાવાદના નારોલ વિસ્તારમાં એક લોહીલુહાણ બનાવે ચકચાર મચાવી છે. પરિવારિક વિવાદે હત્યાકાંડનું સ્વરૂપ લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ આરોપી ઇબ્રાહિમ મન્સૂરીએ પોતાના સસરા અજીજભાઈ મન્સૂરી પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો.
જમાઈનો હત્યાકાંડ
હુમલામાં અજીજભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. માહિતી અનુસાર ઇબ્રાહિમની પત્ની છેલ્લા 10 દિવસથી પિયરમાં રહી રહી હતી. વારંવાર બોલાવવા છતાં પત્ની પરત ન ફરતાં ઇબ્રાહિમ ઉશ્કેરાઈ ગયો હતો અને સાસરીએ પહોંચી ગયો હતો. ત્યાં બુમાબુમ બાદ વાત ઝઘડામાં ફેરવાઈ હતી અને પછી તેણે સસરા પર હુમલો કર્યો હતો.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ બનાવમાં ઇબ્રાહિમના ભાઈ મુસ્તુફા મન્સૂરી તેમજ અન્ય એક વ્યક્તિની સંડોવણી અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે પોલીસ દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને લઈને સાયરા બાનો દ્વારા નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસએ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાને પગલે નારોલ વિસ્તારમાં ભારે તણાવનું વાતાવરણ સર્જાયું છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.




















