Home Gujarat Ahmedabad Ahmedabad 149th Jagannath Rath Yatra Chariot Preparation

આસ્થાનો મહાપર્વ છે નજીક : અમદાવાદમાં 149મી રથયાત્રાની શરૂ થઈ તૈયારીઓ, ભગવાન જગન્નાથના રથો બનાવવાનું કામ શરૂ

મંદીર અને રથની કામગીરીની છબી
Play Video
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 18, 2026, 10:36 AM IST

અમદાવાદના જગન્નાથ મંદિરથી દર વર્ષે નીકળતી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આસ્થાનું વિશાળ કેન્દ્ર બની રહી છે. આ વર્ષે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાવાની છે, જેને લઈને મંદિર તંત્ર, ખલાસી સમાજ અને ભક્તોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રા ભવ્ય અને સુરક્ષિત રીતે યોજાય તે માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

પરંપરા અનુસાર અખાત્રીજના શુભ દિવસથી રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવે છે. આ દિવસથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના ત્રણેય રથોના સમારકામ અને રંગરોગાણની કામગીરી શરૂ કરવામાં આવે છે. હાલ જગન્નાથ મંદિર પરિસરમાં ખલાસી ભાઈઓ દિવસ-રાત મહેનત કરીને રથોને નવી ભવ્યતા આપવાના કાર્યમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.

પરંપરા અને આસ્થાનો અનોખો સમન્વય

અમદાવાદની રથયાત્રા સાથે ખલાસી સમાજનો વિશેષ અને ઐતિહાસિક સંબંધ રહ્યો છે. વર્ષોથી ખલાસી ભાઈઓ ભગવાનના રથોના સમારકામ અને શણગારની જવાબદારી નિભાવી રહ્યા છે. રથોના દરેક ભાગનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવે છે અને જ્યાં જરૂર પડે ત્યાં સમારકામ કરવામાં આવે છે.

રથોની મજબૂતી, સુરક્ષા અને સુંદરતા જળવાઈ રહે તે માટે લાકડાના ભાગો, પૈડાં અને અન્ય માળખાકીય ભાગોની તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ રંગરોગાણની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ ખલાસી સમાજના 4થી 5 કુશળ કારીગરો આ કાર્યમાં જોડાયા છે અને પરંપરાગત કળા સાથે રથોને આકર્ષક સ્વરૂપ આપી રહ્યા છે.

આ પણ વાંચો: "ભાજપ ખુબ મોટો પરિવાર છે, કોઇને મનદુઃખ હોય તો પાર્ટી ટેકકેર કરે છે" : નર્મદાના આંતરિક વિવાદ અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદિશ વિશ્વકર્માનું નિવેદન

આકર્ષક રંગોથી રથોને અપાઈ રહી છે નવી ઓળખ

રથયાત્રાના મુખ્ય આકર્ષણ એવા ત્રણેય રથોને આ વર્ષે પણ સુંદર અને આકર્ષક રંગોથી સુશોભિત કરવામાં આવી રહ્યા છે. પરંપરાગત રંગો સાથે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ભાવનાઓને પ્રતિબિંબિત કરતા ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે.

રથોના દરેક ભાગ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેથી રથયાત્રાના દિવસે લાખો ભક્તો ભગવાનના ભવ્ય રથોના દર્શન કરી શકે. રંગરોગાણ બાદ રથોનો દેખાવ વધુ ભવ્ય અને મનમોહક બની જાય છે, જે ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહે છે.

ખલાસી ભાઈઓના જણાવ્યા અનુસાર, ત્રણેય રથોને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં અંદાજે 20થી 21 દિવસનો સમય લાગે છે. આ દરમિયાન દરેક રથને પરંપરા મુજબ સજાવવામાં આવે છે અને તેની સુંદરતામાં વધારો કરવામાં આવે છે.

આ પણ વાંચો: સુમુલ ડેરીની ચૂંટણી પહેલાં ગરમાવો : તુષાર ચૌધરીએ 1,000 કરોડના કૌભાંડના આક્ષેપો કર્યા, કોંગ્રેસ સત્તાવાર પેનલ સાથે મેદાનમાં

રથયાત્રા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ

જેમ જેમ રથયાત્રાની તારીખ નજીક આવી રહી છે તેમ ભક્તોમાં પણ ઉત્સાહ વધી રહ્યો છે. અમદાવાદની રથયાત્રા દેશની સૌથી મોટી અને ઐતિહાસિક રથયાત્રાઓમાંની એક ગણાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથના દર્શન માટે ઉમટી પડે છે.

રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યાએ નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે. આ પરંપરા વર્ષોથી અવિરત ચાલી રહી છે અને અમદાવાદની સાંસ્કૃતિક ઓળખનો અભિન્ન ભાગ બની ગઈ છે.

આ પણ વાંચો: વર્ષોની રાહનો આવ્યો અંત : કડીમાં સેશન્સ કોર્ટને મંજૂરી, હજારો લોકોને મળશે મોટી રાહત

પરંપરાને જીવંત રાખતા ખલાસી ભાઈઓ

રથોના સમારકામ અને શણગાર પાછળ ખલાસી સમાજની મહેનત અને સમર્પણ રહેલું છે. વર્ષોથી આ સમાજ ભગવાનની સેવાને પોતાનું સૌભાગ્ય માનીને નિષ્ઠાપૂર્વક આ કામગીરી કરે છે. આ વર્ષે પણ ખલાસી ભાઈઓ રથોને સમયસર તૈયાર કરવા માટે સતત કાર્યરત છે. તેમની મહેનતના કારણે જ રથયાત્રાના દિવસે ભગવાનના ભવ્ય રથો લાખો ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બને છે.

149મી રથયાત્રાની તૈયારીઓ હાલ જોરશોરથી ચાલી રહી છે અને આગામી દિવસોમાં ત્રણેય રથો સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. ત્યારબાદ ભગવાન જગન્નાથજીની નગરચર્યાને લઈને સમગ્ર અમદાવાદ ફરી એકવાર ભક્તિ, ઉત્સાહ અને આસ્થાના રંગે રંગાઈ જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now