Breaking News: વડોદરાની મહીસાગર નદી પર આવેલાં ગંભીર બ્રિજની દુર્ઘટના બાદ વધુ એક બ્રિજ તૂટવાના સમાચાર સામે આવ્યાં છે. રાજ્યના જૂનાગઢ જિલ્લામાં આવેલાં માંગરોળ તાલુકામાં આજે સવારે વધુ એક બ્રિજ તૂટી પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાથમિક માહિતીમાં એવું જાણવા મળ્યું છેકે, માંગરોળમાં જર્જરિત બ્રિજનું સમારકામ શરૂ કરાયું હતું અને તે દરમિયાન જ અચાનક મહાકાય સ્લેબ ધરાશાયી થયો. બ્રિજનો મહાકાય સ્લેબ તૂટીને નદીમાં પડતા આ દુર્ઘટનામાં બ્રિજ પર હાજર 8 થી વધુ લોકો નદીમાં ખાબક્યાં હોવાના અહેવાલ મળ્યાં છે.
9મી જુલાઈએ વડોદરા-આણંદ વચ્ચે આવેલી મહીસાગર નદી પરના ગંભીરાબ્રિજ તૂટી પડવાની ઘટનાએ 21 લોકોનો ભોગ લીધો હતો. જેમાંથી હજુ એક વ્યક્તિ લાપતા છે. ત્યારે દુર્ઘટનાના થોડા જ દિવસોમાં બ્રિજ તૂટવાની બીજી દુર્ઘટના જૂનાગઢથી સામે આવી છે. જૂનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામે પણ બ્રિજ તૂટી પડ્યો છે.
આ ઘટનામાં હીટાચી મશીન સાથે આઠથી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા, જોકે, સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો છે.માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આજે મોટી દુર્ઘટના ઘટી હતી. આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં હીટાચી મશીન સહિત આઠથી વધુ લોકો નીચે નદીમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈપણ જાનહાનિ થઈ નથી.
GUJARAT GOVERNMENT CLARIFICATION:
જુનાગઢ જિલ્લાના અજોક ગામના બનાવ અંગે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગની સ્પષ્ટતા
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના અજોક ગામે બ્રિજ નબળા બાંધકામના કારણે તૂટ્યો નથી.
અહી જૂનો પુલ ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન તેનો એક સ્લેબ ધસી પડ્યો.
કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી.
Latest Update:
માંગરોળ નજીક જર્જરિત પુલ તૂટ્યો નથી સલામતી ખાતર તોડવામાં આવ્યો છે: કાર્યપાલક ઈજનેર અભિષેક ગોહિલ
સ્લેબ ઉતારતી વખતે એક ભાગ નીચે પડ્યો છે એક પણ ને ઈજા નથી
જુનાગઢ જિલ્લામાં જર્જરીત પુલોના નિરીક્ષણ બાદ ત્વરિત કામગીરી થઈ રહી છે-કલેકટર અનિલ કુમાર રાણાવસિયા
કલેકટર અને કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ ની ટીમ માંગરોળ તેમજ અન્ય પુલ ના નિરીક્ષણ માટે સ્થળ પર જવા રવાના
જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક- આંત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરીત પુલ તૂટવાની ઘટનામાં એ સત્ય હકીકત બહાર આવી છે કે હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સુચનાથી સમગ્ર રાજ્યમાં જજરી ફૂલોનું નિરીક્ષણ અને રોડ રસ્તાની રીપેરીંગની કામગીરી પુરાજોશમાં ચાલી રહી છે જેના ભાગરૂપે જુનાગઢ જિલ્લામાં પણ કેટલાક પુલો નિરીક્ષણના અંતે બંધ કરાવવામાં આવ્યા છે. આ પુલોમાં સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે મરામતની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
માંગરોળ નજીક પુલનો સ્લેબ તૂટવા ના બનાવ અંગે જુનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂપે માંગરોળ નજીક આજક આંત્રોલી વચ્ચે આવેલ પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરીત જણાવતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્રેકર મશીનથી પૂલ પાડવાની આ કામગીરી ચાલતી હતી એ દરમિયાન પુલનો સ્લેપ નો એક મોટો ભાગ નીચે પડ્યો હતો. જેમાં કોઈ જાનહાની થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી, તેવી તેઓએ સ્પષ્ટતા કરી છે.
કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને બાંધકામ વિભાગના અધિકારીઓ સ્થળ પર જવા રવાના થયા છે.
કલેકટરએ જણાવ્યું હતું કે જિલ્લામાં લોકોની સલામતી માટે જર્જરીત જણાતા હોય તેવા પુલોનું ઇન્સ્પેક્શન કરીને જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ પુલ નું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.




















