ગુજરાતી ફિલ્મ જગતમાં એક નિવેદનને લઈને ભારે ચર્ચા શરૂ થઈ છે. ફિલ્મ શક્તિના પ્રમોશન દરમિયાન અભિનેત્રી મોના થીબાએ વેશ્યાવૃત્તિ વિષયક આપેલું નિવેદન ચર્ચામાં આવ્યું છે. ફિલ્મના પ્રમોશન માટે તેઓ રાજકોટ ગયા હતા, જ્યાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે વેશ્યાવૃત્તિને “સમાજ સેવા” તરીકે ગણાવી હતી.
મોના થીબાના નિવેદન બાદ ચર્ચા અને વિરોધનો માહોલ
મોના થીબાએ કહ્યું હતું કે, જો વેશ્યાવૃત્તિ ન હોય તો સમાજમાં બળાત્કાર જેવી ઘટનાઓ વધી શકે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે 'ન હોય તો કેટલી બહેન-દીકરીઓના બળાત્કાર થાય?' તેમનું માનવું હતું કે, આ પ્રથા કેટલાક અંશે સમાજમાં દબાણ ઘટાડે છે. તેમના આ શબ્દો બાદ તરત જ ચર્ચા અને વિરોધનો માહોલ સર્જાયો હતો.
સમાજમાં વિવિધ મતભેદો
તેમના નિવેદન પછી વિવિધ સામાજિક સંસ્થાઓ, મહિલા સંગઠનો અને નાગરિકોમાં રોષ ફેલાયો છે. અનેક આગેવાનોનું માનવું છે કે, આવા નિવેદનો સમાજમાં ખોટો સંદેશ આપી શકે છે અને સંવેદનશીલ મુદ્દાને સરળ રીતે રજૂ કરે છે. સોશિયલ મીડિયામાં પણ લોકો દ્વારા તેમના નિવેદનની ટીકા કરવામાં આવી રહી છે અને ઘણા યુઝર્સે માફી માંગવાની માંગ કરી છે. આ સમગ્ર ઘટનાએ ફિલ્મના પ્રમોશનને અલગ દિશામાં લઈ ગયું છે. હવે ચર્ચા ફિલ્મ કરતા વધુ તેમના નિવેદન પર કેન્દ્રિત થઈ ગઈ છે. મુદ્દો સંવેદનશીલ હોવાને કારણે સમાજમાં વિવિધ મતભેદો સામે આવી રહ્યા છે.




















