સુરત ક્રાઈમ બ્રાન્ચે ત્રણ વર્ષના બાળક આકાશ ઉર્ફે આરવના અપહરણ અને હત્યા કેસમાં માસીના દીકરા વિકાસ બિન્શુલદયાલ શાહ (ઉ.વ. 26, મૂળ સિવાન, બિહાર)ને મુંબઈના બીકેએમ રેલવે યાર્ડ વિસ્તારમાંથી dramatic રીતે ઝડપી લીધો છે.
ત્રણ દિવસથી પોલીસની પકડમાંથી બચતો વિકાસ રેલવે ટ્રેક પાસે સૂતો હતો. દિવસ દરમિયાન તે ફરતો રહેતો અને સાંજે રેલવે યાર્ડ પર આવી જતો હતો. ચોક્કસ લોકેશનની ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસે 1 કિ.મી. સુધી પીછો કરીને તેને કાબૂમાં લીધો.
બાળકના પરિવારની પીડા
મૂળ બિહારના સિવાન જિલ્લાના બરહન ગામના વતની રાજેન્દ્ર જીઉત શાહ હાલ દુબઈમાં નોકરી કરે છે.
તેમની પત્ની દુર્ગાદેવી સુરતના અમરોલી વિસ્તારમાં તેમના ત્રણ સંતાનો સાથે રહે છે.
ગત સપ્તાહે દુર્ગાદેવીની બહેન રબડીદેવી પોતાના પુત્ર વિકાસ સાથે અહીં રહેવા આવી હતી.
21 ઑગસ્ટે વિકાસ ત્રણ વર્ષના આરવને રમાડવા લઈ ગયો હતો, પરંતુ ત્યારબાદ બંને ગાયબ થઈ ગયા. બાદમાં થાણે નજીક લોકમાન્ય તિલક રેલવે સ્ટેશન ખાતે કુશીનગર ટ્રેનના કોચના શૌચાલયના ડસ્ટબિનમાંથી આરવનો મૃતદેહ મળ્યો. બાળકને તેણે જ પહેરેલા દોરાથી ગળું ઘુંટી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.
પોલીસની તપાસ અને શોધખોળ
આરોપી હત્યા કર્યા બાદ માસીની મોબાઇલ સાથે ભાગી ગયો હતો.
ફોનને વારંવાર ચાલુ-બંધ કરતાં પોલીસને તેના ટ્રેક પર પકડવામાં મુશ્કેલી પડી.
ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ, થાણે અને બિહાર સુધી શોધખોળ ચલાવી.
કુશીનગર ટ્રેનના તમામ સ્ટેશનોના CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા.
પોલીસના સૂત્રો અનુસાર વિકાસ અત્યંત શાતિર છે, એકલો રહેતો, મિત્રો નથી અને પોતાનો મોબાઇલ પણ નથી. હાલ તે માસીનો મોબાઇલ વાપરી રહ્યો હતો.
કુટુંબ આઘાતમાં
મૃતક આરવના માતા-પિતા ઘેરા આઘાતમાં છે. વિકાસ અને તેની માતા રબડીદેવી સુરતમાં રહેવા માગતા હતા, પરંતુ ઘરેલુ અણબનાવને કારણે ઝઘડો થયો હતો. એ ઝઘડો જ આકસ્મિક રીતે આ ભયાનક ઘટનામાં ફેરવાયો કે પછી કોઇ બીજી પ્રેરણા હતી, તે વિકાસની પુછપરછ બાદ જ ખુલશે.





