ગાંધીધામ: ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરતી એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા વધુ એક લાંચના કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ, તેમની વિરુદ્ધ વાયોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં હેરાન-પરેશાન નહીં કરવા તેમજ તેમની ફેક્ટરી ચાલુ રાખવા દેવાના બહાને આરોપીએ રૂ. 50 હજારની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચની રકમ ચૂકવવા તૈયાર ન હોવાથી તેમણે ACBના ટોલ-ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ ફરિયાદી ગાંધીધામ સ્થિત ACB કચેરીએ હાજર રહી સત્તાવાર ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ પ્રાથમિક ચકાસણી બાદ લાંચના છટકાનું આયોજન કર્યું હતું.
ACBના છટકામાં રૂ. 40 હજાર સ્વીકાર્યા
ACB દ્વારા ગોઠવાયેલા છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. દરમિયાન બંને વચ્ચે રકઝક થયા બાદ આરોપીએ અગાઉ માંગવામાં આવેલી રૂ. 50 હજારની લાંચમાંથી રૂ. 40 હજારની ગેરકાયદેસર લાંચ સ્વીકારી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. જોકે, લાંચની રકમ સ્વીકાર્યા બાદ આરોપીને કોઈ પ્રકારનો શક-વહેમ જતાં તેણે ફરિયાદી પાસેથી લીધેલા રૂ. 40 હજાર સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ઘટનાને પગલે ACBએ સમગ્ર મામલાને આધારે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો : 38 દોષિતોની ફાંસીની સજા યથાવત, હાઈકોર્ટે આપી મંજૂરી
લાંચ સામે ફરિયાદ કરવા ACBની અપીલ
એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સમયાંતરે નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ સરકારી કર્મચારી અથવા જાહેર સેવક દ્વારા ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરવામાં આવે તો તે અંગે ટોલ-ફ્રી નંબર 1064 અથવા નજીકની ACB કચેરીનો સંપર્ક કરી જાણ કરવી જોઈએ. ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખવાની સાથે કાયદાકીય રીતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.
આ કેસમાં પણ ફરિયાદીની સતર્કતાને કારણે લાંચની માંગણીનો ભાંડો ફૂટ્યો છે. જોકે આરોપી લાંચની રકમ લઈને સ્થળ પરથી ભાગી છૂટ્યો હોવાથી તેને કાયદાની જાળમાં લાવવા માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.





